મહેસાણાના ઉનાવામાં પેપર ફૂટવાનો મામલે પોલીસે ખાનગી સ્કૂલના શિક્ષક રાજુ ચૌધરીની અને પિયૂન ઘનશ્યામની અટકાયત કરી છે
મહેસાણાના ઉનાવા વનરક્ષક ભરતીમાં ગેરરીતિનો મામલો
રાજુ ચૌધરી નામના યુવકની પોલીસે અટકાયત કરી
વધુ પૂછપરછ માટે ઉનાવા પોલીસ સ્ટેશને યુવકને લઈ જવાયો
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે.મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં એક ઉમેદવાર પરીક્ષાના સવાલોના જવાબો સાથેની એક કાપલી સાથે ઝડપાતા ભારે વિવાદ થઇ ગયો હતો.સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો. મહેસાણા SP, વિસનગર DySP તપાસ કરી રહ્યા છે. ત્યારે ઉનાવા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓ, પટાવાળા અને નિરીક્ષકોના નિવેદન લેવાયા છે. 3 ઉમેદવાર ઉર્વીશ મોદી, રાજવીર ગઢવી અને ભાવેશ પટેલના ઉનાવા પોલીસ સ્ટેશને નિવેદન લેવાયા છે.
પેપરકાંડમાં રાજુ ચૌધરી નામનો શિક્ષક શંકાના દાયરામાં
પરીક્ષામાં ગેરરીતિ મામલે મહેસાણા પોલીસે રાજુ ચૌધરી નામના યુવકની અટકાયત કરી છે. હાલ તેને વધુ પૂછપરછ માટે ઉનાવા પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. રાજુ ચૌધરી ખાનગી પ્રાઇમરી શાળાનો શિક્ષક છે, તેણે લેટરપેડ પર જવાબો લખ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ગેરરીતિ કેસમાં તાબડતોબના ધોરણે સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અટકાયત કરેલ રાજુ ચૌધરીની સઘન પૂછપરછમાં સમગ્ર હકીકત બહાર આવી શકે છે.
શાળાના પ્યૂન ઘનશ્યામ ભેમજીભાઈએ લેટરપેડ સળગાવ્યું
વનરક્ષક પરીક્ષાના પેપર ફૂટ્યું એ એક લેટરપેડમાં લખાયેલું મળી આવ્યું હતું પણ મળતી માહિતી અનુસાર ઉનાવાના પેપરકાંડમાં નવો ખુલાસો થયો છે કે જે લેટર પેડમાં જવાબો મળ્યાએ સળગાવી દેવામાં આવ્યું છે. શાળાના જ પ્યૂનએ લેટરપેડને સળગાવી દીધું છે. હાલમાં પોલીસે સળગાવ્યાના સ્થળની રાખ લીધી છે. પિયૂન ઘનશ્યામ ભેમજીભાઈ કોના કહેવાથી લેટરપેડ સળગાવી દીધું અને કેમ સળગાવ્યું તેની તપાસ માટે શિક્ષક સાથે પિયૂનની પણ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
મુખ્ય નિરીક્ષકે કહ્યું- ઉમેદવાર પર કોપી કેસ અંગેની થશે કાર્યવાહી
મહેસાણામાં વનરક્ષક પરીક્ષાના પેપર અંગે મુખ્ય નિરીક્ષક અંકિત પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઉમેદવાર પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. કાપલી મળી આવતા ઉમેદવાર તરત રોકવામાં આવ્યો હતો. ઉમેદવાર પર કોપી કેસ અંગેની કાર્યવાહી થશે.
કેવી રીતે પેપર ફૂટ્યું?
રાજ્યમાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા. પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા સાથી ઉમેદવારે પરીક્ષાર્થીને પકડતા ભાંડો ફૂટ્યો છે. સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો. તથા વર્ગ નિરીક્ષકને જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાઇ રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર પર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનો સૌથી મોટો ખુલાસો
વનરક્ષક પેપરમાં થયેલી ગેરરીતિને લઇને વિસનગરથી આવનારા ઉમેદવાર ઉર્વિશ મોદીએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, એક વિદ્યાર્થી બહારથી સાહિત્ય લઇને આવેલા વ્યક્તિને રાજુ ગઢવીએ પકડી લીધો હતો. ઉમેદવાર જે ચિઠ્ઠી લઇને આવ્યો તેના વિશે મેડમને ફરિયાદ કરી હતી. મેડમ અને ઉપલા અધિકારીએ ચિઠ્ઠી ફાડી નાંખી હતી. અધિકારીઓએ જવાબો ખોટા છે તેમ કહીને ચિઠ્ઠી ફાડી નાંખી. અમે જવાબ ચેક કરવા ચિઠ્ઠી માગી. અમે જવાબ ચેક કર્યા તો જવાબો બધા સાચા હતા. સવાલ એ છે કે D સિરિઝનું પેપર હોવાની જાણ ક્યાંથી થઇ? ક્રમબદ્ધ સાચા જવાબો ક્યાંથી પહોંચ્યા? અમને શંકા છે કે અંદરનું કોઇ આમની સાથે સંડોવાયેલું છે. બીજા ક્લાસમાં જવાબો લખાવતા હોવાની અમને જાણ થઇ છે.
પેપર ફોડનારનો માસ્ટર કોણ ?
શ્રી નાગરિક મંડળ સેન્ટરમાં પેપર ફોડનાર કોણ છે ?
પરીક્ષાર્થીને શ્રી નાગરિક મંડળમાંથી પેપર કોણે આપ્યું ?
પેપર આપનાર પાસે જવાબ હતા તો તે જવાબ ક્યાંથી આવ્યા ?
પેપર પરિક્ષાર્થી સામે જ ખૂલે છે તો મંડળની ઓફિસમાં પેપર ક્યાંથી આવ્યું ?
20 મીનિટમાં તમામ જવાબો મળી ગયા તો મંડળમાં આટલું હોશિયાલ કોણ બેઠું હતું ?
પેપરના જવાબ બીજા પરિક્ષાર્થી પાસે નથી ગયા તેના ગેરંટી શું છે ?
જવાબ લખાવનારે બીજા પરિક્ષાર્થીને જવાબ નથી મોકલ્યા તેની ગેરંટી શું ?
યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેનો મતલબ એવો નથી કે પેપર ફૂટ્યુઃ વાઘાણી
જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા લેવાની જવાબદારી સોંપાઇ હતી. કેટલાક લોકો ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરે છે. યુવાનોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃતિ છે. બહાર નીકળેલા યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેનો મતલબ આવો નથી કે પેપર ફૂટ્યુ છે. જેની પાસેથી સાહિત્ય મળ્યુ છે તેની સામે કાર્યવાહી થશે. ગેરરીતિ કરનાર સામે કોપીકેસ કરાયો છે