મહેસાણામાં કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. મહેસાણા તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં ત્રણ સભ્યો ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. ભાવનાબેન ઠાકોર, રાકેશ મિસ્ત્રી અને વનરાજસિંહ એમ ત્રણેય તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં સભ્યો ભાજપમાં જોડાયાં છે.
જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલનાં હસ્તે તેઓએ ભાજપનો કેસ ધારણ કર્યો અને ભાજપમાં જોડાયાં. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 23મી એપ્રિલનાં રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલાં મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ થોડાંક દિવસ પહેલાં પણ અલ્પેશ ઠાકોરનાં કોંગ્રેસથી નારાજગીને લઈને પાર્ટીમાંથી રાજીનામું આપ્યાં બાદ ઠાકોર સેનામાં ફાંટા પડી ગયાં છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સેનાનાં હોદ્દેદારો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યાં છે. ત્યારે મહત્વનું છે કે થોડાંક દિવસ પહેલાં આ જ રીતે બેચરાજીમાં પણ ઠાકોરસેના અને કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હતું.
તેમાં મહેસાણા જિલ્લા પંચાયતનાં કોંગ્રેસી સભ્યનાં 20થી વધુ લોકો ભાજપમાં જોડાઈ ગયાં છે અને આગામી સમયમાં બેચરાજીમાં રહેતો ઠાકોર સમાજ પણ કેસરીયો ધારણ કરી લેશે તેવાં એંધાણ સર્જાયાં છે. બેચરાજીમાં મહેસાણા જિલ્લા પંચાયતનાં બહુચરાજી બેઠકનાં કોગ્રેસનાં સભ્ય મઘુબેન ઠાકોર છે કે જેમનાં પતિ રામાજી ઠાકોર, તાલુકા પંચાયતનાં પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 20થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયાં છે.