મહેસાણાઃ કોંગ્રેસ છેલ્લાં કેટલાંય દિવસોથી વિવાદોમાં ઘેરાયેલ છે. કેમ કે કોંગ્રેસની અંદર છેલ્લાં કેટલાંય દિવસોથી આંતરિક વિખવાદ તો ચાલી જ રહેલ છે. ત્યારે ફરી વાર કોંગ્રેસને માથેથી સમસ્યા શમવાનું નામ જ લેવા નથી માંગતી. કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં પણ ભડકો થયો હોવાંની ઘટના સામે આવી છે.
મહત્વનું છે કે કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને 8 સભ્યોની એક હાઇપાવર કમિટીની રચના કરી છે. ત્યારે તેને ધ્યાને રાખીને આવતી કાલે આ વિવાદને લઇ આખરી ઓપ અપાવવાની શક્યતા છે. ત્યારે ફરી વાર કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં 6 સભ્યોએ કમિટીઓમાંથી રાજીનામાં આપ્યાં છે. કોંગ્રેસ પક્ષથી અસંતુષ્ટ સભ્યોએ રાજીનામાં ધર્યાં છે.
મહત્વનું છે કે આ કમિટી જે રચવામાં આવી તેમાં અર્જુન મોઢવાડિયા સિદ્વાર્થ પટેલ તુષાર ચૌધરી નરેશ રાવલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થઇ શકે છે. આ કમિટીમાં પૂર્વ પ્રમુખ અને વિરોધપક્ષનાં પૂર્વ નેતાઓનો સમાવેશ કરવામાં આવશે.
જેનું મુખ્ય કાર્ય પક્ષનાં સંગઠનનાં પ્રશ્નો અને આંતરિક બાબતોમાં નિર્ણય કરવાનો રહેશે તેમજ લોકસભાની ચૂંટણીમાં ટીમ કોંગ્રેસ તરીકે આ કમિટી કામ કરશે. જો કે મહત્વનું છે કે અમિત ચાવડાએ રચેલી આ કમિટીને લઇ તેઓ આવતી કાલે દિલ્હી જશે અને પસંદ કરાયેલાં નામોને ધ્યાને રાખી આ વિવાદને લઇને આખરી ઓપ અપાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ઘટવાને બદલે વધુ વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી છે ત્યારે કોંગ્રેસ માટે આંતરિક કલેહ વધી રહ્યો હતો. ત્યારે કોંગ્રેસી નેતાઓ નારાજ હોવાંને કારણે દિલ્હીથી અલ્પેશ ઠાકોર સહિત અમુક નેતાઓને ગઇ કાલનાં રોજ તેડું પણ આવ્યું હતું. આ નારાજ નેતાઓમાં વધુ બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પણ સમાવેશ કરાયો હતો.
મહત્વનું છે કે પક્ષમાં અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાનાં કાર્યકરોની અવગણનાને લઈને ધવલસિંહ ઝાલા નારાજ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે મને માન્ય રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં નારાજ નેતાઓની યાદીમાં પહેલેથી જ અલ્પેશ ઠાકોરનું નામ તો અગ્રેસર છે. આવામાં હવે ધવલસિંહ ઝાલાનું નામ પણ ઉમેરાઈ જતાં ગુજરાત કોંગ્રેસ સહિત હાઈ કમાન્ડનું ટેન્શન પણ વધવા લાગ્યું. આ ઉપરાંત ગ્યાસુદ્દીન શેખે પણ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી.