કહેવાય છે કે માણસ કેટલું જીવ્યો તેનું કોઈ મહત્વ નથી પરંતુ કેવું જીવ્યો તે મહત્વનું છે.આવા જ એક પ્રેરણાદાયી છે વિસનગરના જિતુભાઈ પટેલ.જિતુભાઈ પટેલ હાલ ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બેસેન્ડર છે.સાથે જ તેઓ સામાજીક ઉત્થાન પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે.જિતુભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી કોઈપણ પ્રકારની આર્થિક મદદ વિના સમાજને ઉપયોગી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
પરંતુ એક વર્ષ પહેલા જિતુભાઈને સેવાકીય કાર્યમાં વધુ કાંઈક કરવાની ચાહના જાગી અને તેઓ વિધવા મહિલાઓની વારે પહોંચી ગયા.જિતુભાઈએ એક વર્ષ સુધી સર્વે કર્યો અને સમાજમાંથી 750 જેટલી વિધવા અને નિરાધાર મહિલાઓને શોધી કાઢી.
તિરૂપતી ફાઉન્ડેશનના માધ્યમથી તેઓએ આ મહિલાઓ માટે વિધવા લાભાર્થી સહાય કાર્ડ બનાવ્યું અને આજે તેઓ 750 જેટલી વિધવા મહિલાઓને દર મહિને એક માસ ચાલે તેટલું કરિયાણું પુરુ પાડે છે તે પણ પોતાના સ્વ ખર્ચે.
જિતુભાઈના જીવન વિશે વાત કરવામાં આવે તો તેઓ વ્યવસાયે ઉદ્યોગકાર છે.પણ છેલ્લા 20 વર્ષથી તેમનું મુખ્ય કાર્ય સામાજીક ઉત્થાનની પ્રવૃતિ જ રહ્યુ છે.અને આ વારસો તેમને તેમના પરિવારમાંથી મળ્યો છે તેમના દાદા સમાજ સેવક હતા.અને તેમના પગલે ચાલીને પોતાની આવકમાંથી સમાજને કઇક અર્પણ કરવાની ભાવના સાથે તેઓ અનેકવિધ પ્રવૃતિ કરી રહ્યા છે.
આ પ્રવૃતિને કારણે અત્યાર સુધીમાં લાખો વૃક્ષોનો ઉછેર થયો છે.જીતુભાઇ પટેલ પાસે કોઇપણ વ્યક્તિ મદદ માટે જાય તો તે કયારેય નિરાશ થઇને નથી આવતો.સામાજીક ઉત્થાનની પ્રવૃતિ સાથે-સાથે તેઓ અસાધ્ય રોગથી પિડાતા લોકોને સારવામાં પણ મદદ કરી રહ્યા છે.માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજા અનેક લોકોનું જીવન બદલી શકે છે.મહેસાણાના જીતુભાઇ પણ આવુ જ એક ઉદાહરણ છે ત્યારે ચોક્કસ પણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય.