અંધશ્રદ્ધા દૂર થાય તે માટે સ્વૈચ્છિક સંગઠનો અને સરકાર દ્વારા અભિયાનો ચલાવાતા રહે છે. પણ તેમ છતાં સમાજમાંથી અંધશ્રદ્ધાની જડ નેસ્તનાબૂત થઈ નથી. ત્યારે મહેસાણા કોર્ટ સામે અંધશ્રદ્ધા ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પોતાની પત્ની પર એવો આક્ષેપ કર્યો છે કે, પત્ની દ્વારા તાંત્રિક વિધિ કરાવીને પતિનું શરીર દુર્બળ અને ખોખલું કરી દેવાયું છે.
કોર્ટ સામે અંધશ્રદ્ધાનો કિસ્સો
પતિએ લગાવ્યો પત્ની પર તાંત્રિક વિધિનો આરોપ
કોર્ટ પણ થઇ વિચારતી
ન્યાય મંદિરે અનેક લોકો ન્યાયની આશા લઈને આવે છે. દરેકની આશા વહેલી કે મોડી પૂરી થાય છે જ. પરંતુ આવા ન્યાય મંદિર પાસે કેટલાક લોકો એવા કિસ્સા લઈને પણ આવે છે કે જેમની માગણી સાંભળી ભલભલા કાયદાવિદો પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આજકાલ મહેસાણા સેશન્સ એન્ડ ડિસ્ટ્રીક્ટ કોર્ટ સામે પણ ન્યાય માટે કંઈક એવો જ કિસ્સો આવ્યો છે.
અંધશ્રદ્ધાની તો હવે હદ થઈ ગઈ !
જેમાં કઈ રીતે ન્યાય કરવો તેને લઈને ખુદ ન્યાયતંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે. આ મુંજવણનું કારણ આ વ્યક્તિ છે. હાથમાં કેટલાક કાગળિયા સાથે આપ જોઈ રહ્યા છો તે વ્યક્તિનું નામ છે રમણભાઈ પટેલ. રમણભાઈ પટેલ મહેસાણના ટુંડાલી ગામના છે. રમણભાઈ પટેલે મહેસાણા ચીફ કોર્ટમાં પોતાના પત્ની અને કેટલાક ભૂવા સામે પોતાનું આરોગ્ય બરબાદ કર્યાનો કેસ કર્યો છે.
ન્યાયમંદિર શું કરે વિષય જ અંધશ્રદ્ધાનો છે તો
રમણભાઈની આ પ્રકારની ફરિયાદ સાંભળીને તમને પણ થશે કે આમાં ન્યાયમંદિર શું કરે. આ તો ડોક્ટરી તપાસનો વિષય છે. પરંતુ રમણભાઈનું કહેવું છે કે તેમના શરીરમાં થઈ ગયેલા આ ફેરફારોનું કારણ તેમની પત્ની અને ભૂવાઓ છે. તેમના પત્નીએ જ ભૂવાઓ પાસે તાંત્રિકવિધિ કરાવીને તેમના શરીરની આવી દુર્દશા કરાવી છે. આ રમણભાઈનો આક્ષેપ છે. જો કે તમને સવાલ થશે કે રમણભાઈના આ આક્ષેપો સાચા હોય તો એવું તો કયું કારણ હોઈ શકે કે, તેમના પત્નીએ રમણભાઈ પર આ રીતે તાંત્રિકવિધિ કરાવવાની જરૂર પડે.
વકીલ પણ અંધશ્રદ્ધાનું કરે છે સમર્થન
બસ રમણભાઈની શંકાનું આ જ કારણ છે કે તેમને અમેરિકા જતા રોકવા તેના પત્નીએ તેમના પર તાંત્રિકવિધિ કરાવી છે. અંધશ્રદ્ધાથી પ્રેરાઈને રમણભાઈએ કોર્ટ સમક્ષ મદદ માટે ધા નાખ્યો છે. વાદી તો અંધશ્રદ્ધાથી જ છલોછલ છે પરંતુ તેમના વકીલ કાંતિભાઈ પટેલ પણ રમણભાઈની માન્યતાને સમર્થન આપી રહ્યા છે.
રમણ પટેલે પોતાની પત્ની અને અન્ય ભૂવાઓ સામે કરેલી ફરિયાદમાં કેટલું તથ્ય એ તો કોર્ટ જ નક્કી કરશે. પણ મહેસાણા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ વિચિત્ર ફરિયાદ હાલ ચર્ચાનો વિષય બની છે. નવાઈની વાત તો એ છે કે રમણ પટેલને કોર્ટ રૂમમાં પણ હેડકી આવવાનું શરૂ થઈ જાય છે.શું આ હેડકીનો ઈલાજ કાયદાની કોઈ પોથીમાં છે?