આશાબેન પટેલ ભાજપમાં જોડાયા બાદ મહેસાણામાં નવું રાજકીય સમીકરણ રચાયું છે. આશાબેન પટેલ કોંગ્રેસમાં લોકસભાના ઉમેદવાર માટે સૌથી અગ્રતાક્રમ ઉપર હતા. પણ આશાબેન ભાજપમાં જોડાયા બાદ હવે કોંગ્રેસ માટે આશાબેનના નામ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ત્યારે હવે કોંગ્રેસ મહેસાણા બેઠક ઉપર પાટીદારને ચૂંટણી જંગમાં ઉતારવા ઈચ્છે છે અને તેમાં પણ 84 કડવા પાટીદાર સમાજના જ ઉમેદવાર ઉપર પસંદગીનો કાળશ ઢોળાઈ શકે છે.
હવે આશાબેન પછી કોણ બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર?
મહેસાણામાં રચાયું નવું સમીકરણ
પાટીદાર ઉમેદવારો છે પ્રબળ દાવેદાર
ચાર ઉમેદવારોના નામ વચ્ચે જામી છે રેસ
કોના પર ઢોળાશે કોંગ્રેસનો કળશ?
મહેસાણામાં 84 કડવા પાટીદાર સમાજના 4 નામના વિકલ્પ ખુલ્લા છે
આશાબેન પટેલના રાજીનામાના ઘટનાક્રમને કારણે મહેસાણા કોંગ્રેસનું રાજકીય સમીકરણ જ બદલાઈ ગયું છે. કોંગ્રેસમાં આશાબેન પટેલ લોકસભાના ઉમેદવાર માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યા હતા. આશાબેનને પણ કોંગ્રેસ દ્વારા લોકસભાની ટિકિટ ઓફર કરવામાં આવી હોવાનું ખુદ આશાબેન પટેલ પણ સ્વીકારી ચુક્યા છે. પણ આશાબેન પટેલ ભાજપમાં જોડાતાં હવે આશાબેનના નામ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ત્યારે હવે કોંગ્રેસ સામે કોને લોકસભાના ઉમેદવાર બનાવવા તે એક સવાલ ઉભો થયો છે. મહેસાણામાં કોંગ્રેસ પાટીદારને જ ટિકિટ આપવા માંગે છે. તેમાં પણ 84 કડવા પાટીદાર સમાજના જ ઉમેદવારને. ત્યારે હવે મહેસાણામાં 84 કડવા પાટીદાર સમાજના 4 નામના વિકલ્પ ખુલ્લા છે. જેમાં એ.જે. પટેલ વંદનાબેન પટેલ અને કિરીટ પટેલ અને જી.એમ. પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસના કાર્યકરો હવે અન્ય પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા લોકોને ટિકિટ ન મળે તેવું ઈચ્છી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ માત્ર જૂના અને મૂળ કોંગ્રેસના કાર્યકરને જ ટિકિટ મળે તેવી પક્ષના નેતાઓ સામે ઈચ્છા વ્યક્ત કરી છે.
મહેસાણામાં 222 ગામ અને શહેરી વિસ્તારમાં 84 કડવા પાટીદાર સમાજનો દબદબો
મહેસાણા લોકસભા બેઠકના ગણિત ઉપર નજર કરીએ તો મહેસાણામાં પાટીદાર અને ઠાકોર સમાજના મતદારોનો દબદબો છે. બે પાટીદાર ઉમેદવાર વચ્ચે જંગ હોય તો ઠાકોર સમાજ જે તરફ જાય એ જ પાટીદાર ઉમેદવાર ચૂંટણી જીતી શકે છે. આમ છતાં વોટ ની દ્રષ્ટિએ મહેસાણામાં 222 ગામ અને શહેરી વિસ્તારમાં પથરાયેલા 84 કડવા પાટીદાર સમાજનો ભારે દબદબો છે. આજ કારણોસર ભાજપના જયશ્રીબેન પટેલ બે ટર્મ સુધી સતત સાસંદ તરીકે ચૂંટાઈ શક્યા છે. જયશ્રીબેન પટેલ પણ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. આશાબેન પટેલ પણ 84 કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. આ કારણોસર કોંગ્રેસ પણ આ વખતે 84 કડવા પાટીદાર સમાજના જ ઉમેદવાર ને મેદાનમાં ઉતારવા ઈચ્છે છે. કોંગ્રેસ પાસે 84 કડવા પટીદાર સમાજના 4 લોકોએ ટિકિટની માગણી કરી છે. જેમાં બે ઉમેદવાર અન્ય પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા છે. ત્યારે હવે જૂના કોંગ્રેસીઓએ 84 કડવા પાટીદાર સમાજમાંથી કિરીટ પટેલ રણેલાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરી છે.
84 કડવા પાટીદાર સમાજના જ ઉમેદવાર ને મેદાનમાં ઉતારવા ઈચ્છે કોંગ્રેસ
મહેસાણા બેઠક પર પાટીદાર સમાજનો દબદબો છે અને તેમા પણ 84 કડવા પાટીદાર સમાજનો વધારે પ્રભાવ છે. આજ સુધી આ બેઠક પર લોકસભા અને વિધાનસભામાં 84 પાટીદાર સમાજમાંથી આવતા નેતાઓ જ ચૂંટણી જીતી શક્યા છે. જો કે તેમને જીતાડવા પાઠળ ઠાકોર સમાજ અને ઈતર સમાજનું પણ યોગદાન રહ્યુ છે. પાટીદાર સિવાય પણ ઈતર સમાજના લોકો પાટીદાર નેતા પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. ત્યારે હાલ જેનું સૌથી વધારે નામ ચર્ચાય છે તેવા કિરીટ પટેલ પોતાના ટિકિટ માગણીના ના દાવા માટે આ રીતે પોતાનું જ સમર્થન કરી રહ્યા છે.
હાલ તો કોંગ્રેસ માટે મહેસાણામાં કોને ઉમેદવાર બનાવવા તે એક સવાલ છે. જો કે આશાબેનના ઘટનાક્રમ પછી કોંગ્રેસમાં હવે જુના કોંગ્રેસીને જ ટિકિટ મળે તેવી પ્રબળ માંગ ઉઠી છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કોની ઉપર પસંદગીનો કળશ ઢોળે છે.