સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 10 દિવસ પહેલા 14 માસની બાળકી પર બિહારના રવીદ્ર ગાંડે નામના એક બિનગુજરાતીએ દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસે તેની તાત્કાલિક ધરપકડ પણ કરી લીધી હતી. એ પછી પણ લોકોનો આક્રોશ શાંત પડવાને બદલે કોઈ અજ્ઞાત દોરી સંચારને કારણે ઊલટાનો વધતો જ ગયો.
બિનગુજરાતી દ્વારા દુષ્કર્મની ઘટનાના પડઘા સ્થાનિક કક્ષાએથી ગતિ પકડી રાજ્યવ્યાપી પડવા લાગ્યા. રાજ્યમાં બિન ગુજરાતીઓ પર હુમલાની એક બાદ એક ઘટનાઓ સર્જાવા લાગી અને સમગ્ર રાજ્યમાં બિનગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાથી ગુજરાતમાં વસતા બિનગુજરાતીઓ એટલા ભયભીત થઈ ગયા કે લોકો પોતાનો કામ ધંધો છોડીને વતન તરફ હિજરત કરવા લાગ્યા છે. જેના કારણે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. રાજ્યના સુરક્ષા તંત્ર દ્વારા તેમને મનાવવાના પ્રયાસ ચાલુ છે. પરંતુ હાલ તો વતન તરફ જવા મન મક્કમ કરી ચૂકેલા કોઈ હિંદીભાષી પરત ફરવા તૈયાર નથી.
રાજ્યમાં બિનગુજરાતીઓ પર હુમલા અને ધમકીને લઈને રાજકારણ ગરમાયું છે. નેતાઓને આ ઘટનાઓના કારણે રાજકીય નુકસાન થવાનો ડર સતાવવા લાગ્યો છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વધુ એક પ્રાંતવાદનું ભૂત સળવળી ઉઠ્યું છે. જેમાં ઠાકોર સમાજ અને બિન ગુજરાતીઓ વચ્ચે ઉભા થયેલા વૈમનસ્યને કારણે ગુજરાતની શાંતિ ફરીવાર ડહોળાઇ રહી છે.
આ તમામ સંજોગોમાં ગુજરાતની ભાજપ સરકાર પાસે ડેમેજ કન્ટ્રોલર કે ચોક્કસ જ્ઞાતિના આગેવાનની ખોટ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હાલ ગુજરાત ભાજપ કે સરકાર પાસે ઠાકોર અને બિનગુજરાતીઓ વચ્ચેની લડાઈને ખાળવા કે સમજાવવા માટે કોઈ ચોક્કસ નેતા ન હોવાથી પોલીસના જોરે આ વૈમનસ્ય અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે તેમ છતાં આ સમગ્ર મામલાને તૂત પકડાવવા માટે ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોર સામે આંગળી ચીંધીને ભાજપે એક કાંકરે બે પક્ષી મારવાનો પ્લાન બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બિનગુજરાતીઓ પર રાજ્યભરમાં હુમલા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્લેઆમ ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર સામે આંગળી ચીંધી તો ઠાકોરસેનાને પણ વળતો પ્રહાર કરવાની તક મળી ગઈ. નીતિન પટેલે ઠાકોર સેનાને હુમલા માટે કારણભૂત ગણાવી તો ઠાકોરસેના અને ઓબીસી એકતા મંચે નિતીન પટેલની બિનગુજરાતીઓ પ્રત્યેની કથિત અન્યાયી નીતિના જૂના મડદાં ઉખેળ્યા.
ઠાકોરસેના અને ઓબીસી એકતા મંચે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી આ કોન્ફરન્સમાં મુકેશ ભરવાડ અને કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને બિનગુજરાતીઓ પર હુમલા માટે કારણભૂત ગણાવ્યા છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બન્ને નેતાએ કહ્યું કે નીતિનભાઈ પટેલની પ્રેરણાથી બિનગુજરાતી વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો.
બિનગુજરાતી વિદ્યાર્થીઓને સ્ટેટ ક્વોટામાં વધારે લાભ લેવા ન દેવા માટે નીતિન પટેલે મહારાષ્ટ્રની તરજ પર રાજ્યમાં પણ ડોમિસાઈલ સર્ટિફિકેટને આંદોલનને સમર્થન આપ્યું હતું અને પેરેન્ટ્સ એસોશિયેશનને પણ સમર્થન આપ્યું હતું. તેમણે તે આંદોલન સમયના પોસ્ટરો પણ રજૂ કર્યા હતા. આ સાથે બિનગુજરાતીઓની સૌથી વધારે હિજરત મહેસાણામાંથી થઈ હોવાનો પણ આરોપ મૂક્યો હતો.