હજુ થોડાંક દિવસ પહેલાં જ ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો. ત્યારે ગુજરાતનાં સ્થાપકોનો આત્મા એમ માની રહ્યો હશે કે હવે તો ગુજરાતમાં સામાજિક સમરરસતા રગેરગમાં એકરસ થઈ ગઈ હશે. પરંતુ જો તેમનો આત્મા મહેસાણાનાં લ્હોર ગામમાં એક લટાર મારવા નીકળશે તો એ જાણીને કકળી ઉઠશે કે અમે આવા ગુજરાતની કલ્પના ન હોતી કરી કે જ્યાં એક દલિત વરરાજાને ઘોડે ચડવા માટે ગામનાં સવર્ણોનાં રાજીપાનો મોતાજ રાખવો પડે.
દલિત વરરાજો શું ઘોડા પર ચડયો કે આખા દલિત સમાજે બહિષ્કારનો ભોગ બનવું પડયું. હવે સરકાર કાયદાની સોયથી સામાજિક સાંધા જોડવા કમર કસી રહી છે. સામાજિક સમરસતા માત્ર પંચાયતોની સત્તા હાંસલ કરવા પૂરતી જ હોય છે જ્યારે સમાજ જીવનમાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે. રાજ્યમાં એક તરફ દરેક સમાજને સમાન તકનાં દાવાઓ કરવામાં આવે છે પરંતુ એ જ રાજ્યમાં એક દલિત યુવક પોતાનાં લગ્નમાં ઘોડા પર પલાણી શકતો નથી. કેમ કે આ ગુજરાતમાં કેટલાંક સવર્ણો એવું માને છે કે વરઘોડો કાઢવો એ તેમનો વિશેષાધિકાર છે.
તેમની આ રૂઢી ચુસ્ત માનસિકતા કહો કે કે કાયદાનાં ડર વિનાની દાદાગીરી કહો આજે ગુજરાત ફરી એક વાર શરમમાં મુકાયું છે. કડી તાલુકાનાં લ્હોર ગામમાં મેહુલ પરમાર નામનાં દલિત યુવકનો વરઘોડો ધોડી પર સવાર થઈને નીકળ્યો તો ગામનાં કહેવાતા સવર્ણ સમાજે તેને સામાજિક પાપ માની લીધું અને અને એની સજાનાં ભાગ રૂપે ગામનાં સમગ્ર દલિત સમાજનો બહિષ્કાર કર્યો અને તેમને પ્રાથમિક જરૂરિયાતથી વંચિત કરી દીધાં.
જો કે આ ઘટનાની જાણ સ્થાનિક તંત્ર અને પોલીસને થઈ તો તે તુરંત હરકતમાં આવી ગયું. જિલ્લા પોલીસે તાત્કાલિક આ દલિત બહિષ્કારનાં ગુનાના આરોપી એવા ગામનાં સરપંચ અને અન્ય મદદગારોની અટકાયત કરી લીધી હતી. તો આ તરફ ઉનાકાંડમાંથી ધડો લેનારી સરકાર પણ વિલંબ વિના એક્શન મોડમાં આવી ગઈ.
કોઈ વિપક્ષી નેતા આ ગામમાં ફરકે અને આ ઘટનાને રાજકીય રંગ આપે તે પહેલાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પીડિત દલિત પરિવારની મુલાકાત લીધી અને અને તેમને ન્યાયની હૈયાધારણ આપી. આ સાથે જ પીડિત દલિત પરિવારને તત્કાલ 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી દીધી. એટલું જ નહીં મુખ્યમંત્રીએ કડી ખાતે એપીએમસી હોલમાં દલિત સમાજ અને સવર્ણ સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજીને સમાધાન પણ કરાવી આપ્યું.
નાયબ મુખ્યમંત્રી એક સરકારનાં પ્રતિનિધિ તરીકે અને મહેસાણાનાં વતની હેસિયતથી લ્હોર ગામમાં સામાજિક સમરસતાનો સંદેશો તો લઈને આવ્યાં હતાં. પરંતુ દલિતોને પડતી હાલાંકીમાં કા કોઈ ફરક પડયો નથી. કેમકે, નીતિન પટેલે દલિત સમાજનાં આગેવાનોને જેટલાં રસપૂર્વક સમરસતાનાં પાઠ શીખવ્યાં તેટલી ધાકથી તેમણે દલિતો પર બહિષ્કારનું હથિયાર ઉગામનારા ગામનાં સવર્ણોને કાયદાનો ડર બતાવી શક્યાં નહીં. પરિણામે તેમની મુલાકાત બાદ પણ બહિષ્કૃત દલિતોની હેરાનગતિમાં કોઈ ફરક પડ્યો નથી.
લ્હોર ગામમાં દલિત બહિષ્કારનાં ઘટનાક્રમ બાદ પોલીસતંત્રે અભૂતપૂર્વ સતર્કતા દાખવી છે. તો બીજી તરફ સરકારે પણ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં બાજી હાથમાં લઈ લીધી છે. સરકાર તરફથી નીતિન પટેલ અને સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વર પરમારે ગામમાં સંવાદિતા પૂર્વવત સ્થાપાય તે માટે લ્હોર ગામની મુલાકાત લીધી. કદાચ સરકારને ચૂંટણી ટાણે આ સંવેદનશીલ મુદ્દો નુકસાન પહોંચાડી શકે અને વિરોધીઓ માટે નવું હથિયાર બની રહે તેવો ડર હશે.
પરંતુ આવાં સંવેદનશીલ મુદ્દાને ગાઈ વગાડીને ન ગજાવે તો વિપક્ષ શાનો? એટલે જ તો અનુસૂચિત જાતિ સેલનાં નવસાદ સોલંકીએ ગુજરાતમાં રહીને અને બસપા સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશથી ગુજરાત સરકાર પર આક્ષેપોની ડંડી વરસાવી. હાલમાં સમધાનની આ જાહેરાત બાદ આ મામલે કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે, આખરે ગાંધીનાં ગુજરાતમાં રવિશંકરનું સપનું ક્યારે સાકાર થશે?