મહેસાણા:મઠાઈના શોખીનો માટે ચેતવતો એક કિસ્સો ઉત્તર ગુજરાતમાંથી સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમનજર હેઠળ નકલી માવાનો કાળો બજાર ધમધમી રહ્યો છે.મોટાભાગના વેપારીઓ નકલી માવો બનાવવા માટે સસ્તા ભાવનું પામોલીન તેલનો ઉપયોગ કરે છે. સોજી વનસ્પતિ ઘી અને અન્ય પદાર્થ ઉમેરી માવો તૈયાર કરાય છે.
ઉલ્લેખનીય છે કે પામોલીન કર્નલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોવાથી મીઠાઈ આરોગવી સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે.ખાસ કરીને ગુજરાતના ડીસા પાલનપુર કડી મહેસાણા ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શહેરોમાંથી મિઠાઈ તૈયાર કરતા વેપારીઓને ત્યાં ઠલવાતું સસ્તા ભાવનું પામોલીન તેલ માવામાં વપરાય છે.
આપને જણાવી દઇએ કે વેપારીઓ નકલી માવો પકડાય નહીં તે માટે વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જે તે વિસ્તારના વેપારીના ઓર્ડર મુજબ સપ્લાય કરે છે. આશરે 30થી 50 કિલોનો નકલી માવાનો જથ્થો રોજ સાઈકલ ઉપર સપ્લાય કરવામાં આવે છે જેથી કોઇને શક જતો નથી.
નકલી માવાથી શું થાય છે?
નકલી માવાની મિઠાઈ ખાવાથી હોજરીમાં સોજો પેટમાં દુઃખાવો ઝાડા ઊલટી તેમ જ સિન્થેટિક કલરની માત્રા વધુ હોવાથી ચામડી પર લાલ ચકમા પણ પડી જાય છે. અને કિડની પર ભારે અસર થાય છે.તેમ છતા આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે કોઇ પગલા લેવામાં આવતા નથી.