મહેસાણા શહેરમાં આવેલા એરપોર્ટનાં બાકી વેરાનો વિવાદ છેલ્લાં ઘણા સમયથી વિવાદમાં છે. આ એરપોર્ટની માલિકી આમ તો ગુજરાત સરકારની છે અને ગુજરાત સરકાર વતી મહેસાણા જિલ્લા કલેકટર એરપોર્ટના માલિક ગણાય છે, આ એરપોર્ટ ગુજરાત સરકાર દ્વારા પાયલોટ ટ્રેનીંગ સ્કુલ ચલાવવા માટે અમદાવાદની ટ્રિપલ એ એટલે કે, અમદાવાદ એવિએશન એરોનેટીક કંપનીને ભાડાપેટે આપ્યું હતું.
મકાન કે જગ્યાના ભાડુઆત વેરો ન ભરે તો વેરો ભરવાની જવાબદારી જગ્યાના માલિકની થાય છે. પરંતુ મહેસાણામાં એરપોર્ટની જગ્યા સરકારની માલિકીની હોવા છતાં નથી તો સરકાર વેરો ભરવા તૈયાર કે નથી તેના ભાડુઆતો વેરો ભરવા તૈયાર. ઉલટાનું સરકાર ભાડૂઆત બદલતી રહે છે એરોનોટિક એન્ડ એવિએશના કરોડોનો વેરો બાકી છે ત્યાં સરકારે બ્લૂ રે નામની કંપનીને જગ્યા ભાડે આપીને મહેસાણા નગરપાલિકાને હરાજી માટે મજબૂર કરી છે. ત્યારે શું છે વેરાનો વિવાદ તે જોઈએ આ અહેવાલમાં.
મહેસાણા શહેરમાં આવેલા એરપોર્ટનાં બાકી વેરાનો વિવાદ છેલ્લાં ઘણા સમયથી વિવાદમાં છે. આ એરપોર્ટની માલિકી આમ તો ગુજરાત સરકારની છે અને ગુજરાત સરકાર વતી મહેસાણા જિલ્લા કલેકટર એરપોર્ટના માલિક ગણાય છે, આ એરપોર્ટ ગુજરાત સરકાર દ્વારા પાયલોટ ટ્રેનીંગ સ્કુલ ચલાવવા માટે અમદાવાદની ટ્રિપલ એ એટલે કે, અમદાવાદ એવિએશન એરોનેટીક કંપનીને ભાડાપેટે આપ્યું હતું.
સરકાર સાથે થયેલા કરાર પ્રમાણે કંપનીએ એરપોર્ટની જમીન ઉપર ટ્રેનીંગ સ્કુલ પણ શરૂ કરી દીધી અને ચાર્ટર પ્લેન પણ ઉડાડવાનું શરૂ કરી દીધું. જો કે, આ બધા વચ્ચે અમદાવાદ એવિએશન એરોનોટિક કંપનીએ વેરો જ ના ભર્યો. આખરે બાકી વેરાની રકમ રૂ.5.62 કરોડ સુધી પહોચી ગઈ. જો કે, મોડે મોડે સરકારે અમદાવાદ એવિએશન એરોનોટિક કંપનીનું ટેન્ડર રદ્દ કરી દીધું છે પરંતુ વેરો તો હજુ વણ વસૂલાયેલો જ છે.
આ મડાગાંઠ વચ્ચે હવે નગરપાલિકા પાસે અમદાવાદ એરોનેટિક એવિએશન કંપનીના સીલ કરાયેલા પ્લેન ની હરાજી કરવા સિવાય કોઈ વિકલ્પ ના બચ્યો. આખરે 2 વર્ષથી બંધ પડેલા પ્લેનની વેલ્યુએશન કાઢવામાં આવી અને કુલ વેલ્યુએશન 1.63 કરોડ રૂપિયા નક્કી થઈ. હરાજીનો દિવસ પણ નક્કી કરવામાં આવ્યો. જેમાં 3 એજન્સીએ બીડિંગની તૈયારી પણ દર્શાવી હતી પણ દશેરાનાં દિવસે જ ઘોડો ન દોડયો. હરાજીનાં દિવસે જ બીડિંગ કરનાર એજન્સી પૈકી એક પણ એજન્સીના પ્રતિનિધિ ફરક્યા નહીં. છેવટે પાણી ન મોલે વેચવા કાઢેલા પ્લેનની હરાજી મોકૂફ રાખવી પડી.
અમદાવાદ એવિએશન એરોનેટીક કંપની તેનું કામ કાજ છોડીને ગાયબ થઇ ગઈ છે. ત્યારે હવે નગરપાલિકાનો બાકી વેરો કોણ ભરપાઈ કરશે તે પણ એક સવાલ છે. તો બીજી તરફ નગરપાલિકાએ ત્રિપલ એ કંપનીના બાકી વેરા મામલે તેના ટચુકડા પ્લેન સહીત અન્ય સામગ્રીને મારેલું સીલ પણ હજુ યથાવત છે. નગરપાલિકા પાસે આ મિલ્કતની હરાજી કરીને બાકી વેરો વસુલવાનો વિકલ્પ ખુલ્લો છે. પણ હરાજીમાં કોઈ વિમાન ખરીદવા તૈયાર નથી. તો બીજી તરફ ઉડ્ડયન વિભાગના નિયમ મુજબ પ્લેનનું એક વખત રજિસ્ટ્રેશન પતિ જાય પછી તેને ફરી વખત ઉડ્ડયન લાયક બનાવવા માટે લાખો રૂપિયાની ફી અને અન્ય ખર્ચ કરવો પડે છે. આ સંજોગોમાં જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ વિમાનની કિંમત ઘટી રહી છે..ત્યારે હવે નગરપાલિકા પણ મુસીબતમાં આવી ગઈ છે કે આખરે પૈસા વસૂલવા તો કેવી રીતે વસૂલવા?
મહેસાણા એરપોર્ટનાં ગ્રાઉન્ડ પર અમદાવાદ એરોનેટિક એન્ડ એવિએશન કંપના વેરાના વિવાદનો હજુ કોઈ નિકાલ થયો નથી. ત્યાં ફરી પાછા સરકારે આ એરપોર્ટ પર બ્લુ રે નામની નવી કંપનીને ટ્રેનિગ સ્કૂલ માટે જમીન ભાડે ગ્રાઉન્ડ ભાડે આપ્યું છે. ટ્રિપલ એ બાદ હવે અહીં બ્લૂ- રે નામની કંપનીએ એવિયેશન ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરી દીધી છે. ત્યારે પહેલી કંપનીની માફક આ કંપની પણ વેરો ભરશે કે કેમ તેવી શંકા નગરપાલિકાના સભ્યોને સતાવી રહી છે.
સામાન્ય માણસો વેરો ન ભરે તો ઢોલ પિટવામાં આવે છે. ત્યારે આ તો મહેસાણા એરપોર્ટની માલિકી રાજ્ય સરકારની છે. અને તેના ભાડૂઆતો વેરો ભર્યા વગર ભાગી જાય છે છતાં સરકારે ચૂપકીદી સેવી છે અને નવી કંપનીને પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચલાવવા માટે પરવાનગી આપી દીધી છે. ત્યારે હવે વેરો ભરવાની જવાબદારી જવાબદારો નિભાવશે કે પછી છટકબારીના સોગઠાં ગોઠવાઈ જશે તે સવાલ દરેકનાં મનમાં ઊઠી રહ્યો છે.