મહેસાણા: ઊંઝા-સિધ્ધપુર વચ્ચે મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. મકતુપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં આશરે 500થી 600 બોરી ભરી ગતી.
જેમાં મક્તુપુર સરકારી ગોડાઉનથી ગોંડલ જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન વિજળીનો તાર અડકી જતા ટ્રકમાં આગ લાગી જતા જથ્થો સળગ્યો હતો અને આગના કારણે હાઈવે પર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગે સ્થાનિકો સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ મામલે મળતી જાણકારી મુજબ મહેસાણાના ઊંઝાથી ગોંડલ રવાના થયેલ સરકારી મગફળીના જથ્થામાં ઓચિંતી આગથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે આ આગ વેર હાઉસના બહાર નીકળેલ ટ્રકના ઉપરના ભાગે વીજ વાયર અડી જતા લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું હતું.
ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ના ક્રોપની મગફળી ઊંઝાના મકતુપુર નજીક આવેલ એમ આર પટવા વેર હાઉસ ભાડે રાખીને સ્ટોરેજ કરવામાં આવી હતી. જ્યાંથી ગત મોડી સાંજે ૬૦૦ જેટલી બોરી ભરી સહારા ટ્રાન્સપોર્ટ જામનગરની ટ્રક મારફતે ગોંડલની અક્ષર મીલમાં જવા રવાના થઇ હતી.
પરંતુ એમ આર પટવા વેર હાઉસમાંથી બહાર નીકળતા જ ટ્રકમાં ભરેલ મગફળીની બોરીને વીજ વાયર અડી ગયો હતો. જેના સ્પાર્કથી મગફળી ભરેલી બોરીમાં આગ લાગી હતી. જે ટ્રક ચાલકને થોડે દુર જતા જ જાણ થતાં પાણીનો છંટકાવ કરીને આગ કાબુમાં લેવાઈ હતી અને ૬૦૦ પૈકી ૬૦ થી ૭૦ બોરીને નુકશાન થયું હતું. જો કે આ સમગ્ર ઘટના મુદ્દે અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકીને એક બીજાને ખો આપતા જોવા મળ્યા હતા.