બાંગ્લાદેશે પહેલી વનડેમાં ભારતને 1 વિકેટથી પરાજય આપીને સિરિઝમાં 1-0થી બઢત હાંસલ કરી લીધી છે.
પહેલી વનડેમાં ભારતનો ધબડકો
બાંગ્લાદેશે ભારતને 1 વિકેટથી હરાવ્યું
મેહદી હસનની શાનદાર ઈનિંગથી બાંગ્લાદેશ જીત્યું
3 મેચની વનડે સિરિઝમાં ભારત 1 મેચ ચૂક્યું
બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમની શરૂઆત ખરાબ રહી છે. ત્રણ વન-ડેની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન બાંગ્લાદેશે ભારતને 1 વિકેટથી પરાજય આપીને સિરિઝમાં 1-0થી બઢત મેળવી લીધી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયા 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેણીની બીજી મેચ 7 ડિસેમ્બરે ઢાકામાં રમાશે.
મહેદી હસન બન્યો બાંગ્લાદેશી જીતનો હીરો
ભારતે કરેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા યજમાન ટીમે એક સમયે 136 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મહેદી હસને મુસ્તફિઝુર રહેમાન સાથે 10મી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. બાંગ્લાદેશે આ લક્ષ્યાંક 4 ઓવર બાકી હતી ત્યારે હાંસલ કરી લીધો હતો. મહેદી હસને અણનમ 38 રન બનાવ્યા હતા. ભારત માટે મોહમ્મદ સિરાજને ત્રણ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ સેનને બે-બે વિકેટ મળી હતી. આ પહેલા કેએલ રાહુલે 73 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમીને ટીમને 186ના સ્કોર સુધી પહોંચાડી હતી. આ પછી એવું લાગતું હતું કે ભારતીય ખેલાડીઓ બોલિંગમાં કમાલ કરશે, પરંતુ આ અપેક્ષા પણ અર્થહીન સાબિત થઈ. શરુઆતમાં ભારતીય બોલરોએ ચાર વિકેટ ઝડપીને તાકાત દેખાડી હતી, પરંતુ નાના ટાર્ગેટને કારણે તેઓ પણ લાચાર જણાતા હતા. આ રીતે બાંગ્લાદેશની ટીમે 46 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ રીતે ભારતીય ટીમને બાંગ્લાદેશ પ્રવાસની શરૂઆત હાર સાથે કરવી પડી હતી.
શું ભૂલ કરી કેએલ રાહુલે
7 વિકેટ પડ્યાં બાદ એક તબક્કે બાંગ્લાદેશનો પરાજય નક્કી જણાતો હતો 8મા ક્રમે રમવા આવેલા મેહદી હસને અણનમ 38 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી દીધી હતી. કેએલ રાહુલે મેહદી હસનનો એક ઈઝી કેચ છોડ્યો હતો જો તેણે આ કેચ કરી લીધો હોત તો ચોક્કસપણે બાંગ્લાદેશ હારી જાત અને ભારતના ખાતામાં પહેલી જીત આવી જાત પરંતુ તેવું ન બન્યું અને તેથી હસને ટીમને જીતાડી દીધી. એમ તો કેએલ રાહુલે સૌથી વધારે 73 રન કર્યાં હતા.
1st ODI, Mirpur: India lose to Bangladesh by 1 wicket. Inda trailing 0-1 in three-match ODI series.#odi#INDvsBAN
રોહિત-ધવન ઓપનિંગમાં મજબૂત શરુઆત ન અપાવી શક્યા
બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ માટે મેદાન પર આવ્યા હતા. બંનેને સારી શરૂઆતની જરૂર હતી પરંતુ એવું થયું નહીં. સૌથી પહેલા શિખર ધવન ચાલ્યો ગયો. ધવન સ્પિનર મેહદી હસને બોલ્ડ આઉટ કર્યો હતો. ધવને 17 બોલ રમીને સાત રન બનાવ્યા હતા. ધવન આઉટ થયો ત્યારે તે સમયે ભારતનો સ્કોર 23 રન હતો.
એક ઓવરમાં પેવેલિયન પરત ફર્યા કોહલી-રોહિત
ધવનના આઉટ થયા બાદ ચાહકોને રોહિત-રાહુલ પાસેથી સારી ઈનિંગની અપેક્ષા હતી પણ બંને વિશ્વાસ પર ખરા ઉતર્યા નહતા. બંને ખેલાડીઓ ઈનિંગની 11મી ઓવરમાં શાકિબ અલ હસનનો શિકાર બન્યા હતા. શાકિબે પહેલા રોહિત શર્માને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ એક બોલ બાદ શાકિબે વિરાટ કોહલીને પણ લિટન દાસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રોહિત શર્માએ 27 અને કોહલીએ 9 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે 43 રનની ભાગીદારી કરીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇબાદત હુસૈને પણ શ્રેયસને શિકાર બનાવીને આ ભાગીદારી તોડી હતી. ત્યારબાદ રાહુલે 73 રન બનાવી ટીમનો સ્કોર 186 સુધી પહોંચાડ્યો હતો. રાહુલે 70 બોલમાં 73 રન ફટકાર્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ પાંચ વિકેટ શાકિબ અલ હસને લીધી હતી. ઇબાદતને ચાર સફળતા મળી હતી.