કચ્છ હંમેશા વરસાદને ઝંખતો પ્રદેશ છે. અહીં દુષ્કાળના વર્ષો વધુ અને પૂરતા વરસાદવાળા વર્ષો ઓછા હોય છે. તેના કારણે વરસાદ, પાણી, તળાવનો અનેરો મહિમા છે. અહીં મોટી કે બારમાસી નદીઓ ન હોવાના કારણે પરાપૂર્વથી લોકો તળાવના આધારે પોતાની જીવનચર્યા ગોઠવતા હતા. તેથી જ સારો વરસાદ થાય અને તળાવમાં પાણી આવે એટલે ગામલોકોમાં હરખની હેલી ચડે.
લોકોના ટોળેટોળાં તળાવમાં થતી પાણીની આવક જોવા જાય. તળાવ છલકાય એટલે જાણે લોકોના હૈયા પણ છલકાય. છલકાયેલા તળાવના વધામણાં થાય અને ગ્રામ પંચાયત કે નગરપાલિકા મેઘલાડુનું વિતરણ કરે. કચ્છના અનેક ગામોમાં તળાવ છલકાય ત્યારે સ્થાનિક રજા પણ જાહેર થતી.
હમીરસર તળાવ છલકાય તો નગરપાલિકા દ્વારા સ્થાનિક રજા જાહેર કરવાની પરંપરા
આજે પણ જો ભુજનું હમીરસર તળાવ છલકાય તો નગરપાલિકા દ્વારા સ્થાનિક રજા જાહેર કરાય છે. સરકારી શાળાઓમાં પણ રજા હોય છે. નગરપતિ તળાવ વધાવે છે. સાંજ પડે લોકો
હમીરસરના કિનારે ઉમટી પડે છે. આવું જ નાના- મોટા ગામોના તમામ તળાવો માટે થાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધી વરસાદ ન પડતાં ત્રણ વર્ષથી દુષ્કાળ ભોગવતા કચ્છી લોકોના જીવ પડીકે બંધાયા હતા.
પરંતુ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં સારો વરસાદ વરસતા હવે ચિત્ર પલટાયું છે. અનેક ગામોના તળાવો છલકાયા છે અને લોકો વાજતે ગાજતે તેને વધાવે છે. માંડવી તાલુકાના મેરાઉનું તથા બિદડાનું તળાવ છલકાયું હતું તો માંડવી તાલુકાના મસ્કા ગામના ચાર તળાવ ઓગન્યા હતા. નખત્રાણા તાલુકાના ખોંભડી ગામનું તળાવ, માણાબાનું તળાવ, ભચાઉનું ઐતિહાસિક બટિયા તળાવ ઓગન્યું હતું.
તળાવોને વાજતે ગાજતે વધાવાયા
લખપત તાલુકાના દયાપર ગામનું તળાવ સતત બીજે વર્ષે છલકાયું હતું. બધા તળાવોને વાજતે ગાજતે વધાવાયા હતા. અબડાસા, રાપર તાલુકાના ગામડાંના તળાવો પણ છલકાયા હતા. ગામેગામ હિંદુ- મુસ્લિમ અગ્રણીઓ સાથે મળીને તળાવના વધામણાં કરીને મોં મીઠું કરે છે.
મેઘલાડુનું જમણ રાજાશાહી વખતની પરંપરા
રાજાશાહી જમાનામાં મેઘલાડુનું જમણ રાજા દ્વારા અપાતું હતું. હવે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે ગામના મહાજન દ્વારા લોકોનું મોં મીઠું કરાવાય છે. કચ્છની આ આગવી પ્રથા અહીં પાણી, વરસાદ અને તળાવનો મહિમા બયાં કરે છે.