અમદાવાદમાં વ્યાજખોરો સામે યોજાયેલા મેગા લોકદરબારમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમદાવાદમાં વ્યાજખોરીના 47 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં યોજાયેલા 54 લોકદરબારમાં 3730 લોકો હાજર રહ્યા છે.
ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે વ્યાજખોરોને ચુંગાલમાંથી બચાવવા માટે પોલીસે આજે એક નવતર પ્રયોગની શરૂઆત કરી છે. પોલીસે 'મે વી હેલ્પ યુ' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પોલીસ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને બેંકોની ટીમ હાજર રહેશે. જે નાના ધંધાર્થીઓને લોન અપાવવામાં મદદરૂપ થશે.
પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો મેગા લોકદરબાર
રાજ્યમાં અને અમદાવાદ શહેરની અંદર વ્યાજખોરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે. તેમના ત્રાસના કારણે અનેક લોકો આપઘાત પણ કરી ચૂક્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા હવે અમદાવાદ પોલીસ દ્વારા આજે શાહીબાગ હેડક્વાર્ટર મેગા લોકદરબાર યોજાયો હતો. જેમાં ઘણા પીડિતો પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. વ્યાજખોરીનો ભોગ બનનારા અરજદારોને DCPએ રૂબરૂ સાંભળ્યા હતા.
70 જેટલા આરોપીઓ પકડાયા છેઃ સંજય શ્રીવાસ્તવ
આ તકે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, વ્યાજખોરો વિરુદ્ધ 5મી તારીખથી ડ્રાઈવ શરૂ થઈ છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં વ્યાજખોરીના 47 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. 70 જેટલા આરોપીઓ પકડાયા છે અને ત્રણને પાસા થઈ છે.
પોલીસને વ્યાજખોરીની 122 અરજીઓ મળી: સંજય શ્રીવાસ્તવ
તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા 160 પેટીઓ ફરિયાદી પેટીઓ મૂકવામાં આવી હતી, તેમાં 7 અરજીઓ આવી હતી. જ્યારે લોકદરબારમાં પોલીસને વ્યાજખોરીની 122 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી થોડી ગુનામાં પરિવર્તિત થઈ છે. જ્યારે અન્ય અરજીઓની તપાસ હાલ ચાલું છે. જેમાં ગુના જણાઈ આવશે તો ચોક્કસ ગુનો દાખલ કરવામાં આવશે.
અમે પીડિતોની બનતી મદદ કરી રહ્યા છીએઃ પોલીસ કમિશનર
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી શહેરમાં 54 જેટલા લોકદરબાર યોજાયા છે. જેમાં 3730 લોકોએ હાજરી આપી હતી. વ્યાજખોરીનો ભોગ બનનારા અમારી સમક્ષ આવી રહ્યા છે, તેમની અમે બનતી મદદ કરી રહ્યા છીએ. હવે પછીના લોકદરબારમાં બેંકકર્મચારીઓ પણ આવશે અને લોકોને માર્ગ દર્શન પણ આપશે. પોલીસ લોકોને લોન અપાવવામાં મદદરૂપ થશે.
28, 29 અને 30 જાન્યુઆરી સુધી ‘મે વી હેલ્પ યુ’ કાર્યક્રમ યોજાશે
'મે વી હેલ્પ યુ' કાર્યક્રમ અંગે માહિતી આપતા ગતરોજ DCP ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે 28થી 30 તારીખ સુધી 'MAY WE HELP YOU' નામથી એક પ્રોગ્રામ લૉન્ચ કરી રહ્યા છીએ. AMC, બેંક અને પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ અધિકારીઓ, ઝોન અધિકારીઓ, બેંકના કર્મચારીઓ જ્યાં સ્ટ્રીટ વેન્ડરના ધંધા-રોજગાર છે અથવા તેઓ જ્યાં રહે છે ત્યાં જઈને કેમ્પ કરીને તેમની લોનની વિગતો સમજાવશે. પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમો 28, 29 અને 30 કરવામાં આવશે. જેમાં ઉપરી અધિકારીઓ પણ હાજર રહીને માર્ગદર્શન આપશે.
સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન
આ પહેલા સુરત ખાતે પણ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ અગાઉ સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા. મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા.