મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં 1026 સામે ગુના દાખલ કરાયા
રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા.5મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.
1288 લોકદરબાર યોજવામાં આવ્યા
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ 622 એફ.આઇ.આર દાખલ કરી 1026 સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેની સામે 635 વ્યાજખોર આરોપીઓ ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તા.16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજવામાં આવ્યા છે. આ લોકદરબાર થકી આવા તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી
વલસાડ પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી અંગે મુકેલી ફેસબુક પોસ્ટ જોઇ એક મહિલા ફરીયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતા આ ડાયવોર્સી બહેન પોતાની પુત્રી સાથે એકલા રહે છે. બહેને રજુઆત કરી કે, વલસાડ શહેરમા જાસ્મીન મોબાઇલ નામની દુકાન ચલાવતા વિનોદ ભોગીલાલ શાહની પાસેથી તેમણે મોબાઇલ હપ્તેથી ખરીદ્યો હતો. ત્યારથી વિનોદભાઇ સાથે ઓળખાણ થઇ અને વિનોદભાઇ વ્યાજે રૂપિયા ધિરાણ કરતા હોઇ તેમની પાસેથી એક વર્ષ પહેલા રૂ. 1,80,000/- 10 થી 20 ટકા વ્યાજના દરે લીધા હતા. વિનોદભાઇ 10 ટકા લેખે વ્યાજ વસુલ કર્યું અને છેલ્લા છ માસથી 20 ટકા લેખે વ્યાજ ચુકવી રહ્યા છે. મુદ્દલ રકમ તથા વ્યાજની રકમ ચુકવાઇ ગઈ હોવા છતા ફરીયાદી બહેન પાસે વિનોદભાઇએ વધુ વ્યાજની માંગણી કરી પરંતુ વ્યાજ ચુકવી ન શકતા વિનોદએ ફરીયાદી બહેનનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો. તે ઉપરાંત કોરા ચેક લખાવી લીધા બાદ અવારનવાર વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી બહેને પ્રેસરની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા બહેને વિનોદના ડરથી પોતે દવા પીધી હોવાની હકકીત છુપાવી હતી.
બહેને વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી
ફરીયાદી બહેને વિનોદભાઇ પાસેથી લીધેલા નાણા તથા વ્યાજ ચુકવવા માટે વલસાડના રહેવાસી શ્રવણ મારવાડી પાસેથી રૂપીયા 35,000/- 5 ટકા વ્યાજ દરે ત્રણ માસ પહેલા લીધા હતા. જે રકમનુ વ્યાજ ફરીયાદી બેન ચુકવી ન શકતાં શ્રવણએ તેનુ મોપેડ પડાવી લીધુ અને બળજબરીથી ટીટીઓ ફોર્મમાં સહી લઇ લીધી હતી. રાજય સરકાર દ્વારા ચલાવાઈ રહેલી વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અંગેની ખાસ ઝુંબેશ અને આ ઝુંબેશ દરમ્યાન પોલીસ વિભાગની વ્યાજખોરો વિરૂધ્ધની કડક કાર્યવાહી જોઇ ફરીયાદી બહેનને હિંમત મળી અને નિર્ભય રીતે ફરીયાદ કરી હતી. જે ફરીયાદ અન્વયે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિનોદભાઇ તથા શ્રવણભાઇ મારવાડીને ઝડપી પાડી આરોપીના રહેણાંક મકાન તથા દુકાનની ઝડતી તપાસ કરી ફરીયાદી બહેન પાસેથી આરોપીઓએ મેળવેલ વધુ નાણા, મોબાઇલ ફોન, મોપેડ તથા પચ્ચીસ કોરા ચેક પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યા છે.
પંચમહાલમાં વ્યાજખોરો સામે પોલીસ એકેશનમાં
રાજ્યભરમાં અનધિકૃત વ્યાજખોરો કરતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.૨.૭૦ લાખની સામે વ્યાજ સાથે રૂ.6.87 લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.11.28 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહિ, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર માસીક 2% લેખે તન્મયકુમાર વસંતભાઇ મહેતાને રૂ.2,70,૦૦૦/- ધીરધાર કરી સિકયુરીટી પેટે કોરા ચેક લઇ લીધા હતા. ત્યાર બાદ તન્મય મહેતાએ માસીક 10% લેખે રુપીયા 6,87,૦૦૦/- ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો બળજબરીપુર્વક વધારાના વ્યાજ સહીતના નાણાં રૂપીયા 11,28,૦૦૦/- માંગી રહ્યા હતા. વસંત મહેતાની હુન્ડાઇ આઇ-10 ગ્રાન્ડ મેઘના ગાડી બળજબરીથી પડાવી પોતાની પાસે રાખી લઇ વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પંચમહાલ પોલીસે ગુનો દાખલ કરી પરીમલ સોસાયટી, ભુરાવાવ ચાર રસ્તા, ગોધરામાં રહેતા આરોપી વિરેનભાઇ પરમાનંદ લાલવાણીના ઘરે સર્ચ કરી ફરીયાદી પાસેથી બળજબરીથી પડાવી લીધેલી ગાડી તાત્કાલીક ધોરણે રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરી છે.