દેવભૂમિ દ્વારકાના બેટ અને દ્વારકા બાદ આજે પોરબંદર જિલ્લામાં પણ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ મેગા ડીમોલેશન હાથ ધરાયુ હતુ. પોલીસની ભારે સુરક્ષા વચ્ચે ડીમોલિશન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં મેગા ડિમોલિશન
દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ ડિમોલેશન
8 સ્થળો પર ચાલી રહ્યું છે ડિમોલેશન
ગુજરાતએ દેશનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતુ રાજ્ય છે. આ દરિયા કિનારો તેની ખાસીયત પણ છે અને જો આ દરિયા કિનારો સુરક્ષીત ન હોય તો રાજ્ય માટે સૌથી મોટી મુશીબત ઉભી કરી શકે છે. વધુમાં ગુજરાત પાકિસ્તાનની નજીક આવેલ હોવાથી રાજ્યના દરિયા કિનારા પણ ખુબ જ સંવેદનશીલ ગણાય છે. જેથી ત્યા તંત્ર દ્વારા ચાંમતી નજર રાખવામાં આવે છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખીને છેલ્લા બે દિવસથી બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેવામાં મોડી રાતથી પોરબંદરમાં પણ સુરક્ષા કારણો સર મેગાડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતું.
પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી
ગત મોડી રાતથી પોલીસ સુરક્ષા સાથે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યુ હતું. તેમાં પોરબંદરના દરિયા કિનારાના અલગ અલગ 8 સ્થળો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ છે. ગોસા, નવાગામ સહિતના દરિયા વિસ્તારમાં મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ સુરક્ષાને ધ્યાને લઈને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.
ગોસા, નવાગામ સહિતના ગામોમાં કાર્યવાહી
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયા કિનારા ડ્રગ્સને લઈને ચર્ચામાં આવી રહ્યા છે. તેમજ રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં ડ્રગ્સ ડિલરોના અડ્ડા બનતા અને સંડોવણી સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દરિયાના બેટ વિસ્તારમાં કેટલાક કેટલીક વાર પાકિસ્તાની નાગરીક પણ ઝડપાય છે. ગુજરાત પાકિસ્તાનની સરહદ પાસે હોવાથી દરિયા પાસેના બેટ વિસ્તાર પર સુરક્ષાને લઈ ચાપતી નજર રાકવાની જરૂરત હોવાથી કોઈ ગેરકાયદે કામ ડામવાના હેતુથી પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજયના દરિયાઈ વિસ્તારમાં આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલશે તેવા સંકેત મળી રહ્યા છે.
દ્વારકામાં મોટું ડીમોલેશન સરકાર અને તંત્રએ કર્યું : સી. આર. પાટીલે
ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન બેટ દ્વારકામાં ડીમોલેશનની કામગીરી મામલે પણ સી આર પાટીલે નિવેદન આપ્યું હતું. અને કહ્યું હતું કે સરકારે દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધર્યું છે. અનેક ગેર કાયદેસર બાંધકામો તોડી પડાયા છે. દ્વારકા કૃષ્ણની નગરી છે, ત્યાં બીજું કંઈ ન હોય, આ સાથે જ ભાજપ કાર્યકર્તા અને લોકોને અપીલ કરી હતી કે સરકાર અને તંત્રનો સોશિયલ મીડિયા દ્વારા આભાર વ્યક્ત કરાય તેવી કામગીરી ત્યાં કરવામાં આવી છે.