ચૂંટણીટાણે ગુજરાતમાં પણ UP વાળા એક્શનથી ચારેયકોર ચર્ચા, ભાજપે CMનો મૃદુ સાથે મક્કમ ચહેરો પણ દેખાડ્યો, શું કાર્યવાહીથી વિપક્ષના ગઢ થશે ધ્વસ્ત?
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેગા ડિમોલેશન
પહેલા બુલડોઝર એક્શન UPમાં ચાલ્યું
હવે GJમાં પણ રસ્તો કરશે સાફ?
તમને બરાબર યાદ હશે કે યુપી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો જો કોઈ રહ્યો અને બન્યો હતો તે છે બાબા બુલડોઝર, ઉત્તરપ્રદેશના પરિણામોમાં અને તે બાદ જસ્નમાં પણ બુલડોઝર બાબાનો ક્રેઝ જોવા મળ્યો હતો. અને વિપક્ષ પાર્ટીઓને યોગી સરકારના બુલડોઝર એક્શનનું રિઝલ્ટ પણ હારને રૂપે મળ્યું હતું. આ વાત એટલા માટે અત્યારે યાદ કરવી પડે છે કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમાંય ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની એટલે કે બુલડોઝર ફેરવવાની કામગીરી મોટા પાયે ચાલી રહી છે. જેને રાજકીય પંડિતો અલગ રીતે જોઈ રહ્યા છે. અને સીધી જ આ કાર્યવાહીને યુપી વાયા ગુજરાત કનેક્શન સાથે જોડી રહ્યા છે. હાર્ડ હિન્દુત્વની રાજનીતિ થઈ રહી હોવાનો અંદેશો લગાવી રહ્યા છે.
UPમાં બુલડોઝરે જાદુ કર્યો હવે ગુજરાતમાં વારો..
હાલમાં પીએમ મોદી હોય કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જેટલા ભાજપના કેન્દ્રિય નેતાઑ ગુજરાતનો ચૂંટણીલક્ષી પ્રવાસ ખેડી રહ્યા છે તેમાં ગુજરાત સરકારની આ કાર્યવાહીને ભેરપેટ વખાણી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તો દરેક સભામાં આ મુદ્દાને ઉછાળી લોકો સામે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મક્કમ ચહેરો રજૂ કરી રહ્યા છે. ઠીક એજ રીતે જે રીતે ભાજપે યુપીમાં બુલડોઝર એક્શન થકી યોગી સરકારની કડક કાર્યવાહીને છેક છેવાડા સુધી પ્રચાર કરી સીએમ યોગી ચહેરો વધુ મજબૂત કર્યો હતો અને પરિણામ સ્વરૂપે મોટી માર્જિનથી જીતનો પરચમ લહેરાવ્યો હતો.
બેટ દ્વારકાનું મેગા ડિમોલિશનએ મક્કમ નિર્ણયનું ઉદાહરણ: PM મોદી
અહિયાં એ ઉલ્લેખ કરવો જરુંરી છે કે PM મોદી તેમની છેલ્લી બે સભામાં દ્વારકા ડિમોલેશનની કાર્યવાહીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ પણ કરી ચૂક્યા છે. તે નિવેદન પર એક નજર કરીએ તો જામનગર પ્રવાસ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે . મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હોય છે ત્યારે બધા જ વિરોધ વગર સહકાર આપતા હોય છે. જે આ મેગા ડિમોલિશનએ મક્કમ નિર્ણયનું ઉદાહરણ છે. વધુમા ડિમોલિશન મામલે સંતોના નિવેદન સાંભળીને રાજીપો થયો હોવાનું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું. 'આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર ભૂપેન્દ્રભાઈ સફાઇ કરાવી રહ્યાનું' જણાવ્યું હતું. વિરોધીઑ થોડી જ વારમા સમજી ગયા કે આહી આપડુ કશું ચાલશે નહીં. તેમ ઉમેરી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ દ્વારકામાં
બીજી તરફ જામકંડોરણામાં PM મોદીએ જનસભા સંબોધતા કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ, બેટદ્વારકાને કબ્જામાંથી મુક્ત કરાવી દીધું અને બધુ શાંતિથી પતાવી દીધું છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ દ્વારકાથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તમામ સંકેતો એક જ તરફ ઇસારો કરી રહ્યા છે આ વખતની ચૂંટણીમાં ભાજપનો ભરોસો સમુદ્ર કાંઠે થયેલી ડિમોલેશનની કડક કાર્યવાહી તરફ છે જેના થકી આખાય ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના ચહેરાને મૃદુ સાથે મક્કમતાની છાપ છે તેને વધુ મજબૂત કરવામાં ભાજપ એક સફળ રણનીતિ મુજબ આગળ વધી રહ્યું છે.
હિન્દુત્વ પર પણ નજર?
બીજી તરફ ગુજરાત સરકારની આ કામગીરીને સંતો-સેવકો પણ બિરદાવી રહ્યા છે. કોઈ મુખ્યમંત્રીને રૂબરૂ મળી કાર્યવાહી માટે અભિનંદન પાઠવી રહ્યું છે તો કોઈ વીડિયો જાહેર કરી સરકારની આ કાર્યવાહીની પીઠ થાબડી રહ્યું છે. આજે જ જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે નિવેદન આપ્યું છે કે દ્વારકામાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામનો કડૂસ્લો બોલાવી જગ્યા ખાલી કરવામાં આવી છે. જે આવકારદાયક છે. આમ ભાજપ એક કાંકરે બે પક્ષી મારી હાર્ડ હિન્દુત્વનું પણ સમર્થન મેળવી રહ્યું છે.
બુલડોઝર એક્શન સૌરાષ્ટ્રમાં થઈ શકે 'હિટ'
મહત્વનું છે કે બુલડોઝર એક્શન ખાસ કરીને ગત ચૂંટણીમાં વિપક્ષનો ગઢ બની ગયેલા સૌરાષ્ટ્રમાં તો ખાસી એવી અસર પાડશે. ત્યારે હવે વિપક્ષ ભાજપની બુલડોઝર રણનીતિ સામે પહાડ ઊભો કરી ચૂંટણીમાં કેવો ખેલ રચી શકે તે જોવું રહ્યું, પણ એક વાતને નકારી શકાય નહીં કારણ કે બુલડોઝર એક્શન UPમાં ચાલ્યું હતું તેવી જ રીતે જો ગુજરાતમાં ચાલ્યું તો પરીણામો પર તેની સીધી જ અસર જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં...