મેગાસિટી અમદાવાદની ૬પ લાખ વસ્તીની આરોગ્ય સુખાકારી સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં છે. ખાદ્ય પદાર્થોની અનેક બનાવટમાં ભેળસેળખોરો બેફામ ભેળસેળ કરી નિર્દોષ લોકોના સ્વાસ્થ્યને જોખમાવી રહ્યા છે. જોકે વધારે વકરો કમાવવા ઇચ્છતા આવા ભેળસેળખોરો સામે મ્યુનિસિપલ તંત્ર પણ અસહાય છે.
મેગાસિટી અમદાવાદની ૬પ લાખની વસ્તી
તંત્ર પાસે માત્ર ૧૭ ફૂડ ઇન્સ્પેકટર
વર્ષ દરમ્યાન માંડ રપર૦ સેમ્પલ લેવાય
કેમ કે તંત્ર પાસે સમગ્ર શહેરમાં વિભિન્ન ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઇ તેને નવરંગપુરા ખાતેની મ્યુનિ. લેબમાં તપાસ માટે મોકલવા માટે માત્ર અને માત્ર ૧૭ ફૂડ ઇન્સ્પેકટર છે. જે દેખીતી રીતે ખૂબ ઓછા હોઇ તંત્રના હેલ્થ ફલાઇંગ સ્કવોડનો 'પાવર' ભેળસેળખોરોને નજરે પડતો નથી.
વર્ષ દરમ્યાન માંડ રપર૦ સેમ્પલ લેવાય
મ્યુનિ. ફૂડ વિભાગ હસ્તક હેલ્થ ફલાઇંગ સ્કવોડ છે. આ સ્કવોડમાં એક સેનેટરી સુપરિટેન્ડેન્ટ, એક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, ૧૭ ફૂડ સેફટી ઓફિસર, આઠ પટાવાળા, બે સિનિયર કલાર્ક સહિત કુલ ૩૪ કર્મચારીનો સ્ટાફ છે. ફૂડ સેફટી ઓફિસર દ્વારા શહેરમાં ખાણી-પીણીના ધંધાર્થીઓના સ્થળે દરોડા પાડીને ફૂડ સેમ્પલ લેવાય છે. જોકે તંત્રની ફૂડ સેમ્પલ લેવાની કામગીરી સદંતર કંગાળ છે. વર્ષ દરમ્યાન માંડ રપર૦ સેમ્પલ લેવાય છે. એટલે કે દરરોજ સાત સેમ્પલ લેવાતા હોઇ ભેળસેળખોરો બેફામ બન્યા છે. ભેળસેળખોરો પર કાયદાની બીક રહી નથી. છેલ્લા આઠ વર્ષની તંત્રની ફૂડ સેમ્પલ લેવાની કામગીરી સદંતર નિષ્ફળ પુરવાર થઇ છે. આઠ વર્ષમાં માત્ર ર૦,૧૬૭ ફૂડ સેમ્પલ લઇને હેલ્થ ફલાઇંગ સ્કવોડ હાસ્યાસ્પદ પુરવાર થયું છે.
ફલાઇંગ સ્કવોડના કુલ ૧૭ ઓન પેપર સેફટી ઓફિસર
જાણકાર સૂત્રો કહે છે કે, ફલાઇંગ સ્કવોડના કુલ ૧૭ ઓન પેપર સેફટી ઓફિસર છે જે પૈકી દરરોજ પાંચ થી છ ઓફિસર તો કોર્ટ કાર્યવાહીમાં વ્યસ્ત રહેછે. બે-ત્રણ રજા પર હોય તો દૈનિક ૧૦ ઓફિસર ફૂડ સેમ્પલ લેવા ફરજ પર હાજર હોયછે. તેમ છતાં દિવસના દસ ફૂડ સેમ્પલ પણ લેવાતાં જ નથી.
બીજી તરફ તંત્ર ફૂડ ઇન્સ્પેકટરોની શેડ્યૂલની રપ જગ્યા પણ ભરાઇ ન હોવાના ગાણા ગાય છે. ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોષીને આ અંગે પૂછતાં તેઓ કહે છે, શેડ્યૂલની કુલ રપ જગ્યા છે. પરંતુ ૧૭ જગ્યા ભરાયેલ છે. ખાલી આઠ જગ્યા ભરવા માટે છ મહિના પહેલા મ્યુનિ. વહીવટ વિભાગ પાસે માગણી કરાઇ છે પણ આ માગણીનો હજુ સ્વીકાર થયો નથી.
વોર્ડ દીઠ એક ફૂડ સેફટી ઇન્સ્પેકટર મુજબ કુલ ૪૮ ફૂડ સેફટી ઓફિસર હોવા જોઇએ
જોકે અમદાવાદ જેવા મેગાસિટીમાં ભેળસેળખોરોને ધ્રૂજતા કરવા વોર્ડ દીઠ એક ફૂડ સેફટી ઇન્સ્પેકટર મુજબ કુલ ૪૮ ફૂડ સેફટી ઓફિસર હોવા જોઇએ. એટલે કે શેડ્યૂલની અત્યારની રપ જગ્યાના બદલે ૪૮ જગ્યા કરવી જોઇએ. આ બાબત વર્ષોથી ચર્ચાસ્પદ છે. અગાઉના હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ઉચ્ચ અધિકારીઓ આને સ્વીકારી ચૂક્યા છે. તેમ છતાં આ દિશામાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ અંગે ડો. જોષી કહે છે, વોર્ડ દીઠ એક ફૂડ સેફટી ઓફિસર હોવા જોઇએ કે વસ્તી મુજબ ફૂડ સેફટી ઓફિસર હોવા જોઇએ આવો કોઇ ઉલ્લેખ કાયદામાં નથી. એટલે ગાંધીનગર ખાતે આ બાબતે પૂછાવડાવ્યું છે.