છેલ્લા કેટલાક સમયથી નેપાળ ભારત સામે લાલ આંખ કરી રહ્યું છે. નેપાળે ભારતના વિસ્તારોને પોતાનામાં દર્શાવતો નકશો પણ જાહેર કરી દીધો છે જે બાદથી બે દેશો વચ્ચે સંબંધો વધુને વધુને બગડતા જઈ રહ્યા છે ત્યારે નેપાળમાં ખૂબ જલ્દી સત્તા પરિવર્તનના ભણકારા થઇ રહ્યા છે. નેપાળની સત્તાધારી પાર્ટીમાં દિગ્ગજ નેતા પ્રચંડે વિદ્રોહ કરી દીધો છે. જે બાદ વડાપ્રધાન ઓલીએ આડકતરી રીતે ભારત પર આરોપ લગાવ્યો છે.
નેપાળમાં કેપી શર્મા ઓલીણી સત્તા ડામાડોળ
પાર્ટીમાં દિગ્ગજ નેતા પ્રચંડે કર્યો વિદ્રોહ
કેપી શર્મા ઓલીએ ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ભારતના પડોશી દેશ નેપાળનાં રાજનીતિક સંકટ ઉભું થઇ ગયું છે, પોતે વડાપ્રધાન ઓલીની ખુરશી ડામાડોળ થવા લાગી છે. નેપાળમાં સત્તાધારી પાર્ટીની અંદર જ ઘમાસાણ મચી ગયું છે. એવામાં વડાપ્રધાન ઓલીએ ઈશારા ઈશારામાં ભારત પર આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું કે એક દૂતાવાસ મારી સરકાર વિરુદ્ધ હોટેલમાં કાવતરું રચી રહ્યું છે.
નોંધનીય છે કે કેટલાક સમયથી નેપાળ અને ભારતના સંબંધો વણસી રહ્યા છે. ચીનની સોડમાં આવીને નેપાળ ભારત સાથે સરહદ વિવાદમાં પડી ગયું છે ત્યારે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે કાઠમાંડુની એક હોટલમાં તેમને હટાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે અને એક એમ્બેસી પણ આ કામમાં સક્રિય છે. તેમણે કહ્યું કે નેપાળના નકશામાં ફેરફાર બાદથી જ મારા વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવે છે. કોઈએ વિચાર્યું ન હતું કે નકશો બનાવવાના કારણે કોઈ વડાપ્રધાનને હટાવી દેવામાં આવશે.
નોંધનીય છે કે કેપી શર્મા ઓલીની પાર્ટીમાં પુષ્પ કુમાર દહલ પ્રચંડે વિદ્રોહ કરી દીધો છે અને ધમકી આપતા કહ્યું કે જો પીએમ રાજીનામું નહીં આપો તો પાર્ટી તોડી દેવામાં આવશે. પ્રચંડે આરોપ લગાવ્યો છે કે હવે ઓલી પોતાની રાજગાદી બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે અને સેનાનો સહારો પણ લઇ શકે છે.
નેપાળમાં સત્તાધારી પાર્ટીમાં ઘમાસાણ થઇ રહ્યું છે. પાર્ટીના નેતા પ્રચંડ અને દેશના વડાપ્રધાન ઓલી એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. પ્રચંડનો આરોપ છે કે નેપાળ હવે પાકિસ્તાનના મોડલ પર છે અને સરકાર ફેલ થઇ ગઈ છે. જ્યાં ઓલીનો આરોપ છે કે પ્રચંડે પાર્ટીને બરબાદ કરી નાખી છે.