રાજકોટ બાદ આણંદના તારાપુરમાં કોળી સમાજ એકઠો થયો હતો અને 4 મહત્વની માગણી સરકાર સમક્ષ મૂકી હતી
કોળી સમાજ થયું સક્રીય
આણંદના તારાપુરમાં બેઠક
કોળી સમાજની વિવિધ માગ મુદ્દે બેઠક
ગુજરાતમાં સૌથી વધારે વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે. પરંતુ રાજકારણમાં તેમનું પ્રભુત્વ સાવ સામાન્ય છે. તે વાત નકારી શકાય તેમ નથી. અને આથી જ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોળી સમાજનું રાજકારણ ગરમાયું ચૂક્યું છે. હાલ કોળી સમાજના આગેવાનોની જિલ્લે જિલ્લે બેઠકો થઈ રહી છે. ગત રાજકોટની બેઠકમાં થયેલા હુંકાર બાદ આણંદના તારાપુરમાં કોળી સમાજની મિટિંગ યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનોએ ભાગ લીધો હતો. અને કોળી સમાજને 20 ટકા અનામત આપવા માટેની માગ તેમજ કોળી-ઠાકોર નિગમમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવા અને કોળીના આરાધ્ય દેવ માંધાતા દેવના મંદિર માટે જગ્યાની માગની માંગ કરવામાં આવી હતી.
કોળી સમાજની માગ શું છે ?
કોળી સમાજને 20 ટકા અનામતની માગ
ગુજરાતમાં મોટા શહેરમાં હોસ્ટેલ બનાવવા જમીનની માગ
માંધાતા દેવનું મંદિર બનાવવા જમીન આપવામાં આવે
કોળી-ઠાકોર નિગમમાં 500 કરોડ રૂપિયાની ફાળવણી
બેઠક બાદ વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.અને આગેવાનોએ મીડિયા સાથે કરેલી વાતમાં કહ્યું હતું કે જે પક્ષ અમારી માંગણીઓ સંતોષશે વિધાનસભા ચૂંટણીમાં તેની આખોય સમાજ હશે.
20 માર્ચ રાજકોટની બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો
સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન 2022ની બેઠક રાજકોટ સ્થિત એક હોટલમાં યોજાઈ હતી. જો કે આ બેઠક બિન રાજકિય હોવાનું કહેવાઈ રહ્યું છે. પણ હિત તો રાજકિય રીતે આવનારી ચૂંટણીને ધ્યાને રાખી દબાણ લાવવાનું છે. ત્યારે બેઠકનઑ ઉદ્દેશ એક જ હતો 'હું નહીં આપણે' જેમાં બંને સમાજના આગેવાનોએ એક સૂરે હામ ભરી છે કે કોળી-ઠાકોર નિગમને વધુ પેકેજ આપવામાં આવે સાથે જ 20% અનામતનો લાભ પણ બંને સમાજને આપવામાં આવે. આગેવાનું કહેવું છે કે સમાજને વારંવાર અન્યાય થઈ રહ્યો છે. આ બેઠકમાં એમ પણ કહી શકાય છે કોળી સમાજના બાહુબલિ આગેવાન બાવળિયા આ એકતા સમિતિથી અળગા રહ્યા હતા. તમામ મોટા આગેવાનોને પણ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ કોઈ સમયને અભાવ બતાવી આ બેઠકથી અળગા રહ્યા છે. હવે રાજકોટ બાદ આજે આણંદમાં પણ કોળી સમાજનું સંમેલન યોજાયું છે. આ જોતા એક વાત તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરેક પક્ષો અને તેમની કહેવાતી મત બેન્ક માટે મહત્વની હશે.
હાલમાં કોળી સમાજમાં ઊભા બે ફાડિયા
ગુજરાતની રાજનીતિ હવે નાત-જાત પર થવા લાગી છે. દરેક સમાજને પ્રભુત્વ જોઈએ છે.. અને આ પ્રભુત્વની ચાહમાં હવે એક જ સમાજના લોકો વચ્ચે પણ ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.. આવું જ કાંઈક સૌથી મોટી વોટબેંક ધરાવતા કોળી સમાજમાં પણ જોવા મળી રહ્યું છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રની કોળી સમાજની લોબીમાં બે ફાટા પડ્યા છે.. જેમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા સામ-સામે આવી ગયા છે. આજે જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કોળી સમાજનું સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે.
મારા સંમેલનમાં કુવરજીભાઈ બાવળિયા નહીં હોય: પૂર્વ સાંસદ દેવજી ફતેપરા
દેવજી ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, થોડા જ દિવસોમાં કોળી સમાજના આગેવાનો સાથે મીટીંગ કરવાનું છે. બીજી તરફ દેવજી ફતેપરા કુંવરજી બાવળિયાથી નારાજ હોવાની વાત સામે આવી હતી. જે સંદર્ભમાં તેઓ જણાવ્યું હતું કે, હજી અમે કોઈ સમાધાન નથી કર્યુ અને મને નથી લાગતું કે સમાધાન થાય તેવી કોઈ પરિસ્થિતી ઉભી થાય. તેમણે જણાવ્યું હતું કે, કુંવરજીભાઈ કેમ અળગા ચાલે છે તે તેમનો વિષય છે. આગેવાનોની બોલાવેલી બેઠકમાં કુંવરજી બાવળિયાની બાદ બાકી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને હળવદના ધારાસભ્ય પણ નહીં હોય
રાજ્યમાં અમારા સમાજનું મોટું મતદાન
તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં અમે 30-32 બેઠકોમાં અમે નિર્ણાયક ભૂમિકામાં છીએ અમે પણ સમાજના આગેવાન છીએ તો અમને પણ સમાજ પૂછે છે, હાલ સૌરાષ્ટ્રમાં 54 વિધાનસભાની બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. 54 બેઠકો પર કોળી મતદાર હરાવી પણ શકે જીતાડી પણ શકે.જેમ મુસ્લિમ સમાજ મતદાન કરે એવી રીતે કોળી સમાજ પણ મતદાન કરે છે અમે રજા રાખીને પણ મતદાન કરી શકીએ છીએ.