નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી હવે નજીક છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ પર હજુ વિરામ નથી લાગ્યો. દિલ્હીમાં ફરી એકવાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ તેજ થઈ છે.
આ મામલે આજે કોંગ્રેસે બેઠક બોલાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના નિવાસસ્થાને બેઠક બોલાવી છે. જેમાં દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત, 3 કાર્યકારી અધ્યક્ષ અને દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી.સી. ચાકો પણ હાજર રહેશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ આજે AAP સાથે ગઠબંધન મુદ્દે નિર્ણય લઈ શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એનસીપી પ્રમુખ શરદ પવારની મધ્યસ્થ ભૂમિકા છે. તેમણે બન્ને પાર્ટી સાથે વાત કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીએ શરદ પવાર દ્વારા કોંગ્રેસને ગઠબંધન માટે નવી ઓફર મોકલી છે.
જોકે આ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને કોઇ વાતચીત નથી ચાલી રહી. કોંગ્રેસ અમને ના પાડી ચૂકી છે.