ચૂંટણીની આડે ગણતરીના મહિના જ બાકી છે ત્યારે કોળી અને ઠાકોર સમાજે સંમેલન કર્યા. સરકારના વાયદાથી લઇને સમાજના વિકાસની વાતો ચર્ચાઇ છે
"આપણે" નામથી કોળી અને ઠાકોર સમુદાયનું સંમેલન
શીલજ ખાતે ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓની યોજાઈ બેઠક
સમાજની વસ્તી ધોરણે અથવા અલગ અનામતની માંગ
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોળી સમાજનું રાજકારણ ગરમાયું ચૂક્યું છે. હાલ કોળી સમાજના આગેવાનોની જિલ્લે જિલ્લે બેઠકો થઈ રહી છે. ગત રાજકોટ અને આણંદના તારાપુરમાં કોળી સમાજમાં થયેલા હુંકાર બાદ આજે અમદાવાદના શીલજ ખાતે ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં બંને સમાજના આગેવાનો અને યુવાનોએ ભાગ લીધો હતો.
ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓની યોજાઈ બેઠક
ચૂંટણી પહેલા ઠાકોર અને કોળી સમુદાય મિશન 2022નું સંમેલન આજે અમદાવાદના શીલજ ખાતે યોજાયું હતું. જેમાં ઠાકોર અને કોળી સમુદાયના અગ્રણીઓએ લાંબા સમય સુધી બંને સમાજની માંગણી અને અગાઉના કાર્યક્રમ વિષે ગહન ચર્ચાઓ કરી હતી. અને ચર્ચાના મંથનમાંથી ગુજરાતમાં સમાજની વસ્તી ધોરણે અથવા અલગ અનામતની માંગ કરવામાં આવી છે. ઠાકોર અને કોળી સમુદાયના વિકાસ માટે 1500 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવા માગ તેજ કરાઇ છે. સમાજ માટે આદર્શ નિવાસી પ્રત્યેક જિલ્લામાં હોસ્ટલ સાથે શાળાની માંગ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અંગે રણનીતિ, કોર કમિટી દ્વારા સમાજની જાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન અંગે આજની બેઠકમાં રૂપરેખા ઘડવામાં આવી હતી.
નરેશભાઈ જ્યાં જોડાશે ત્યાં કોળી સમાજ અને દરેક સમાજ સમર્થન કરશે: વીરમાંધાતા ગૃપના અગ્રણી
ગુજરાતની રાજનીતિમાં ધ્રુવીકરણના સંકેત આજે કાગવડના ખોડલધામમાં નરેશ પટેલ અને ગુજરાત કોળી સમાજના શ્રી વીર મંધાતા ગૃપના લોકો સાથે બેઠક કરી હતી. બીજી તરફ કોળી સમાજના શ્રી વીર મંધાતા ગૃપના રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, નરેશ પટેલને અમારો પુરો સાથ અને સહકાર છે. અમારી નરેશ પટેલ સાથે સારી રીતે બેઠક થઈ હતી. જેમાં વિવિધ સામાજિક ચર્ચાઓ થઈ છે. તેમણે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સંદર્ભે ઉમેર્યુ હતું કે, સારા માણસોને રાજકારણમાં આવવું જોઈએ. બીજી તરફ શ્રી વીર માંધાતા ગ્રુપના રાજુભાઇ સોલંકીનું એલાન કર્યું હતું કે, નરેશભાઈ જ્યાં જોડાશે ત્યાં કોળી સમાજ અને દરેક સમાજ સમર્થન કરશે.
કોળી સમાજની માગ શું છે ?
ઠાકોર અને કોળી સમુદાયના વિકાસ માટે ગ્રાન્ટ
સમાજ માટે આદર્શ નિવાસી પ્રત્યેક જિલ્લામાં હોસ્ટલ
20 ટકા અનામતની માગ
માંધાતા દેવનું મંદિર બનાવવા જમીન આપવામાં આવે
કોળી-ઠાકોર નિગમમાં 1500 કરોડ રૂપિયાની ફાળવણી
હાલમાં કોળી સમાજમાં ઊભા બે ફાડિયા
ગુજરાતની રાજનીતિ હવે નાત-જાત પર થવા લાગી છે. દરેક સમાજને પ્રભુત્વ જોઈએ છે.. અને આ પ્રભુત્વની ચાહમાં હવે એક જ સમાજના લોકો વચ્ચે પણ ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.. આવું જ કાંઈક સૌથી મોટી વોટબેંક ધરાવતા કોળી સમાજમાં પણ જોવા મળી રહ્યું છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રની કોળી સમાજની લોબીમાં બે ફાટા પડ્યા છે.. જેમાં કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા સામ-સામે આવી ગયા છે. અલગથી પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કોળી સમાજનું સંમેલન બોલાવવાની જાહેરાત કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. પણ હાલ તો ઠાકોર અને કોળી સમુદાયની અલગ અલગ જિલ્લાઓમાં ચાલતી બેઠકમાં કોઈ રાજકીય આગેવાનોને તેડાવવામાં આવતા નથી.
ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. રાજકીય પક્ષો તેમને નજરઅંદાજ નથી કરી શકતી તે વાત સ્વાભાવિકરીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ વધતો આપણે જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જોઇ રહ્યા છીએ.