કાયદા અંગે ફરીથી વિચાર કરીશું, સી.આર.પાટીલની આ પ્રતિક્રિયા બાદ સરકાર એક્શનમાં આવી ગઇ છે. ભાજપના આગેવાનો સહિત કાઉન્સિલર CM કાર્યાલય પહોંચ્યા હતા.
કાયદા અંગે ફરીથી વિચાર કરીશુઃ પાટીલ
સી.આર.પાટીલની પ્રતિક્રિયા બાદ સરકાર એક્શનમાં
સરકાર ટુંક સમયમાં કાયદામાં કરી શકશે ફેરબદલ
રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાયદા અંગે ફેરવિચારણાં થઈ શકે છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. ત્યારબાદ હવે માલધારી સમાજના આગેવાનોએ સી.આર.પાટીલ સાથે બેઠક કરી છે. માલધારી સમાજના આગેવાનો CM ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરશે. માલધારી સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ આગામી સત્રમાં બિલ રદ કરવા સી.આર.પાટીલે ખાત્રી આપી છે. મુખ્યમંત્રી કાયદા રદ કરવાનો નિર્ણય લઈ શકે છે. મહત્વનું છે કે, રાજ્યમાં ઠેર ઠેર માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધ અને રજૂઆતોને પગલે કાયદો રદ થવાની શક્યતાંઓ છે. સરકાર ટુંક સમયમાં કાયદામાં ફેરબદલ કરી શકે છે.
પશુ નિયંત્રણ કાયદા અંગે સી.આર.પાટીલે શું આપી ખાતરી ?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, કાયદા અંગે ફરીથી વિચાર કરીશું. માલધારી સમાજની રજૂઆતો સાંભળી છે. આવનારા સત્રમાં કાયદો પરત લેવાશે. માલધારી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
સી.આર પાટીલે આશ્વાસન આપ્યું કે કાયદામાં આગળ વધીશું નહીઃ રણછોડ રબારી
ઢોર નિયંત્રણ બિલ પર પૂર્વમંત્રી રણછોડ રબારીએ કહ્યું કે, આ કાયદા પર માલધારી સમાજમાં રોષ હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ માલધારી આગેવાનો અને સંતોને મળ્યા. પશુપાલકો માટે કડક કાયદો લાગતો હતો. સી.આર પાટીલે આશ્વાસન આપ્યું કે કાયદામાં આગળ વધીશું નહીં. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે 2 દિવસમાં બિલ બાબતે બેઠક થશે. HC અને SCની માર્ગદર્શિકા આધારે સરકાર બિલ લાવી છે. બિલ પરત ખેંચવા બાબતે ચર્ચા થઈ છે. CM ચર્ચા માટે બોલાવશે તો બિલ પરત ખેંચવાની ચર્ચા કરીશું.
કોંગ્રેસે કાયદાને લઇને આકરા પ્રહાર કર્યા
રખડતા પશુ નિયંત્રણ કાયદાને કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસે કાયદાને લઇને આકરા પ્રહાર કર્યા હતા તો ભાજપે કાયદા અંગે ફેરવિચારણાંની શક્યતા વ્યક્ત કરી છે. વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડે કહ્યું કે, ગૌચરના અભાવે ગૌમાતા રોડ પર છે. તો રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઇ શહેરી મત વધારવા કાયદો લાવ્યા છે.
પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએઃ કોંગ્રેસ નેતા મનિષ દોશી
રખડતાં ઢોર નિયંત્રણ કાયદા પર ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ભાજપ સરકારે ગાયના નામે મત માંગ્યા. ભાજપના મળતીયા ગૌચરની જમીન ચરી ગયા. કાગળ પર સરકારે એનિમલ હોસ્ટેલની જાહેરાત કરી. જમીન માફિયાના હવાલે ભાજપે ગૌચરની જમીન આપી દીધી. અમદાવાદમાં સુનિયોજિત રીતે ગૌચરની જમીન ગાયબ કરવામાં આવી. સરકારની બેધારી નીતિ છે. કોના પાપે ગૌચરની જમીન ગાયબ થઈ ? સરકાર કાયદાના નામે લોકોને ડરાવે છે. પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.
ગુજરાતમાં ક્યાં ક્યાં માલધારી સમાજે કર્યો વિરોધ ?
પશુ બિલ મુદ્દે અનેક શહેરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદ કલેકટર કચેરીએ માલધારી સમાજ એકઠો થયો અને વિધાનસભામાં પસાર થયેલો કાયદો રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને રઘુ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માલધારી સમાજે વિરોધ કર્યો છે. જામનગરમાં પશુ બિલ વિરુદ્ધ માલધારી સંગઠનોએ પ્રદર્શન કર્યું છે. વડોદરામાં ગોપાલકો અને માલધારી સમાજના લોકોએ કલેક્ટર ઓફિસે પહોંચીને બેનર સાથે નારેબાજી કરી. બનાસકાંઠાના પાલનપુરમાં માલધારીઓએ ગોચર પાછું આપવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહેસાણામાં પણ માલધારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માગ કરી હતી તથા ગૌહત્યા બંધ કરાવવા માટે પણ માલધારી સમાજે માગ કરી હતી. તો સુરતમાં માલધારી સમાજે કલેકટર કચેરીએ એકઠા થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા.