ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગવાની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે રાજકીય પક્ષોનું નાક દબાવવા સમાજને સંગઠિત કરવા શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે
વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક
જાફરાબાદ તાલુકામાં બેઠકનું આયોજન
કરણ બારૈયાની હાજરીમાં બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં વિવિધ સમાજની બેઠકોનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત અમરેલીના જાફરાબાદમાં કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જાફરાબાદના ચાંચ બંદર ખાતે કરવામાં આવી હતી. જેની અધ્યક્ષતા અમરેલી જિલ્લા કોળી પ્રમુખ કરણ બારૈયાએ કરી હતી.
કેમ આ કોળી સમાજની બેઠક અગત્યની?
મહત્વનું છે કે આ અગાઉ કરણ બારૈયાના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાજરી આપી હતી. જેથી આ બેઠક અગત્યની માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં 33 ટકા મતદારો કોળી સમાજના છે.
કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક મંચ
તો બીજી તરફ સૌરાષ્ટ્રના કોળી સમાજના દિગ્ગજ નેતાઓ એકમત થઈ ગયા. ગઈકાલે બુધવારે એકબીજા સામેના વિવાદથી ચર્ચામાં રહેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક મંચ પર આવ્યા હતા.રાજકોટની હોટલમાં કોળી સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક કરી હતી.જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવાની માગ અને તેને લગતી યોગ્ય રજૂઆતોને પગલે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચૂંટણીલક્ષી સમાજની બેઠકમાં બાવળીયા અને ફતેપરા જે એકબીજાથી નારાજ હતા તે સમાજ સમાજ કરી મત માટે મનભેદ દૂર કરી એક સુરે જોવા મળ્યા હતા.
ગુજરાતમાં કોળીનું રાજકિય મહત્વ
કોળી સમાજ ગુજરાતમાં સૌથી વધારે વસ્તીવાળો સમાજ
રાજ્યમાં કુલ 18 ટકા જેટલી વસ્તી કોળી સમાજની
કોળી સમાજ રાજ્યની 35-40 બેઠક પર સીધી અસર કરે છે
સૌરાષ્ટ્રમાં 57 બેઠકમાંથી 25 બેઠક પર કોળી સમાજની વસ્તી વધારે
દક્ષિણ ગુજરાતમાં 10 બેઠક પર કોળી સમાજની વસ્તી વિશેષ
ચૂંટણીમાં જ્ઞાતિ ફેક્ટર કેટલું મહત્વનું?
જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે. તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. તે વાત સ્વાભાવિક રીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ આપણે વધતો જોતા આવ્યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરીએકવાર જોઇ રહ્યા છીએ.