બેઠકમાં ઠાકોર-કોળી એકના નારા સાથે રાજકીય પ્રતિનિધિત્વ અંગે મંથન થયું, બંને સમાજના મોટા આગેવાનોએ બેઠકથી દૂરી બનાવી..
ચૂંટણી પહેલા રાજકોટમાં કોળી સમાજની બેઠક
કોળી સમાજને 20 ટકા અનામતની માંગ
કોળી-ઠાકોર નિગમને વધુ પેકેજ આપવા અંગે ચર્ચા
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં ફરી જ્ઞાતિવાદના સમીકરણોના ભૂત ધુણવા લાગ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૮ બેઠકો પર કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે જેનાથી હાલની રાજકીય સ્થિતી જોતાં કોળી સમાજની અવગણના કરવી ભાજપને ભારે પડી શકે છે. ત્યારે ચૂંટણી પહેલા રાજકોટમાં ઠાકોર-કોળી સમાજની બેઠક યોજવામાં આવી છે જેમાં 20 ટકા અનામતની માંગ અને કોળી-ઠાકોર નિગમને વધુ પેકેજ આપવા તેમજ આવનાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્લેટફોર્મ તૈયાર કરવાની રણનીતિ ધડાઈ છે. મહત્વનું છે કે પાટીદાર સમાજ પછી ગુજરાતમાં સૌથી વધુ વોટ ઠાકોર અને કોળી સમાજના છે.
કોળી-ઠાકોર નિગમને વધુ પેકેજ આપવામાં આવે: બેઠકમાં હાજર આગેવાનો
સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન 2022ની બેઠક રાજકોટ સ્થિત એક હોટલમાં યોજાઈ હતી. જો કે આ બેઠક બિન રાજકિય હોવાનું કહેવાઈ રહ્યું છે. પણ હિત તો રાજકિય રીતે આવનારી ચૂંટણીને ધ્યાને રાખી દબાણ લાવવાનું છે. ત્યારે બેઠકનઑ ઉદ્દેશ એક જ હતો 'હું નહીં આપણે' જેમાં બંને સમાજના આગેવાનોએ એક સૂરે હામ ભરી છે કે કોળી-ઠાકોર નિગમને વધુ પેકેજ આપવામાં આવે સાથે જ 20% અનામતનો લાભ પણ બંને સમાજને આપવામાં આવે. આગેવાનું કહેવું છે કે સમાજને વારંવાર અન્યાય થઈ રહ્યો છે. આ બેઠકમાં એમ પણ કહી શકાય છે કોળી સમાજના બાહુબલિ આગેવાન બાવળિયા આ એકતા સમિતિથી અળગા રહ્યા હતા. તમામ મોટા આગેવાનોને પણ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ કોઈ સમયને અભાવ બતાવી આ બેઠકથી અળગા રહ્યા છે.
કોઈ પક્ષની ટિકિટ લેવા આ બેઠક નથીઃ અજમલજી ઠાકોર
સમાજની વસતી મુજબ કોળી-ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ
કોળી-ઠાકોર સમાજની અવગણના થાય છે
સમાજના યુવાનોએ એક થઇને લડત ચલાવવાની છે
કોળી ઠાકોર સમાજનો રાજકીય રીતે ઉપયોગ થયો છે
રાજકીય તાકાત બતાવવાનો સમય છે
કઈ બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ?
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. જેના લીધે અનેક બેઠકો પર પાટીદાર મતો પણ નિર્ણાયક છે. પરંતુ, ચૂંટણી ટાણે જે સક્ષમ ઉમેદવાર હોય તે જીતતા રહ્યા છે. ગુજરાતમાં આજે સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો રહેલી છે જયાં ૪૦ હજારથી વધુ કોળી મતદારો રહેલા છે. કોળી મતદારો આજેય પણ જયાં ઢળે ત્યાં મતોના ઢગલા કારી નાખે છે.
કોળી સમાજમાં બે ફાડિયા..!
કોળી સમાજનું થોડા સમય અગાઉ સંમેલન મળ્યું હતું. જેમાં ભાજપ સામે નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું..પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે ફાંટા પડયા અને સમાજ પણ વેચાઈ ગયો હોવાની વાતો સામે આવી હતી. અનેક વખત આ સમાજની નારાજગી સામે આવી છે. વધુ એક વખત સમાજ નારાજ છે અને અન્યાયની લાગણી અનુભવી રહયા ની વાતો ચાલી રહીં છે.
ઠાકોર સમાજ પણ બાવળા ચડાવે તેવી વકી
હવે વાત ઠાકોર સમાજની. ઉત્તર ગુજરાતમાં ભારે દબદબો ધરાવતા આ સમાજે પણ અંદર ખાને પોતાની તૈયારી શરુ કરી છે. આગામી સમયમાં આ સમાજ પણ કોળી સમાજ જેવી જ લાગણી અને માગણી વ્યક્ત કરી શકે છે. હાલ તો અલ્પેશ ઠાકોર પણ પોતાની ગણતરીઓ માંડી રહ્યા છે. ધવલસિંહ ઝાલા, અને અલ્પેશ ઠાકોરે વિધાનસભા પેટા ચૂંટણીમાં જે રીતે કરારી હારનો સામનો કર્યો ત્યાર બાદ, થોડા સમય પહેલા પણ ઠાકોરના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા. એટલે ઠાકોર કોઈ પ્રકારે 'કૈકૈયી'નાં વચન જેવું પોતાની ટીકીટ માટે કરે છે કે કેમ ? બીજું, અલ્પેશ ઠાકોરની ભલામણ કેટલી માન્ય રહેશે ભાજપમાં ? તે પર પણ પ્રશ્નાર્થ છે. કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ છે. એટલે સમાજના નવલોહિયાને પોતાના તરફ વાળવા તે પણ પ્રયાસ ચોક્કસ કરશે. એટલે જૂનો મરતબો, મોભો, માન-સન્માન અને ખાસ તો ટીકીટ મળે એટલે અર્ધો જંગ જીત્યા બરાબર છે. આ કેસમાં ચૂંટણીની તારીખ આવતા જ બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારો મુકશે એટલે 'સમાજ નીતિની તસ્વીર બિલ્લોરી કાચ જેવી સ્પષ્ઠ થશે.
ટૂંકમાં કહીએ તો, સમાજ નામની તુંબડીના સહારે વિધાનસભાની વૈતરણી પાર કરનારા સક્રિય થયા છે. જે એક રીતે રાજકીય પાર્ટીઓ માટે પણ 'પ્રેશર ટેક્ટિકટ' છે.