BIG BREAKING: ચાર રાજ્યોમાં સરકારના ગઠનને લઈને પ્રધાનમંત્રી આવાસ પર હાઇલેવલ બેઠક, અમિત શાહ અને જેપી નડ્ડા ઉપસ્થિત
પીએમ મોદીએ બોલાવી બેઠક
ચાર રાજ્યોમાં સરકાર બનાવવાને લઈને ચર્ચા
અમિત શાહ સહિતના મોટા નેતાઓ પહોંચ્યા
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી રાતે ફરીવાર ભાજપની સરકારોને લઈને મોટી બેઠક બોલાવી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકારની રચનાને લઈને આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ સામેલ છે. બેઠક બાદ આવતીકાલે ભાજપ દ્વારા મોટા નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઇ રહી છે.
સરકારને લઈને મોટા નિર્ણય લેવાશે
10 માર્ચે ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત મેળવી હતી. હવે આ રાજ્યોમાં સરકાર બનાવવા માટે સતત બેઠકોનો દોર ચાલુ છે જેમાં યુપીમાં સરકાર બનાવવાની રણનીતિની જવાબદારી અમિત શાહના શિરે આપવામાં આવી છે.
ધામીના દિલ્હીમાં ધામા, ફરી સીએમ બની શકશે કે નહીં?
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં સરકાર તો ભાજપની બની રહી છે પરંતુ સીએમ ધામી પોતે ચૂંટણી હારી ગયા છે ત્યારે તેમને ફરી સીએમ બનાવવા કે નહીં તે અંગે પણ આજે જ નિર્ણય લેવામાં આવશે. પુષ્કર ધામી આજે જ દિલ્હી પહોંચ્યા હતા.
ગોવાના મુખ્યમંત્રી સાવંત પણ આજે દિલ્હીમાં
ભારતીય જનતા પાર્ટી (BJP) એ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ પછી પણ ગોવામાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. કેરટેકર મુખ્યમંત્રી પ્રમોદ સાવંત આજે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી આવ્યા હતા.
આ સિવાય આજની બેઠકમાં યોગીની કેબિનેટમાં કયા કયા મંત્રીઓને રાખવા તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસે પણ આજે લીધો મોટો નિર્ણય
દેશમાં હાલમાં જ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના સમાપ્ત થઈ છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં ભવ્ય જીત મેળવી જ્યારે એક રાજ્યમાં કોંગ્રેસની સરકારને ઉખાડીને આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. ચૂંટણીઓમાં સૌથી મોટું નુકસાન કોઈ પાર્ટીને થયું હોય તો તે છે કોંગ્રેસ. કોંગ્રેસની પંજાબમાં ભૂંડી હાર થઈ અને સરકાર તો ગઈ જ, સાથે સાથે બીજા રાજ્યોમાં પણ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું. ઉત્તર પ્રદેશમાં તો મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. એવામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ચૂંટણી પત્યા પછી આખરે સોનિયા ગાંધી એક્ટિવ થયા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોને રાજીનામાં આપી દેવાના આદેશ આપ્યા છે. આ સાથે જ આ રાજ્યોમાં નવું કોંગ્રેસ સંગઠન માળખું પણ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ આદેશ બાદ ઉત્તર પ્રદેશના અજય કુમાર લલ્લુ અને પંજાબના સિદ્ધુનું પણ રાજીનામું પડશે. અજય કુમાર યુપી જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ છે.