રાજકોટ: કોંગ્રેસનો હાથ છોડી કુંવરજી બાવળીયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે જસદણની આ બેઠકનો લઈને હવે કોંગ્રેસમાં ફરી ચર્ચા જાગી છે. કોળી સમાજના આગેવાનો આ બેઠક પર કોળી ચહેરાને મેદાનમાં ઉતારવાની માગ કરી રહ્યા છે.
ત્યારે આ મુદ્દાને લઈને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસનાં ધારાસભ્યો અને કોળી આગેવાન પુંજા વંશ પરસોત્તમ સાબરીયા વિમલ ચુડાસમા રાજુ ગોહિલ સહિતનાં આગેવાનોએ બેઠક યોજી હતી અને જસદણ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ જમાવી રાખવાની વ્યુહરચના ઘડી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજા વંશના ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ અને કુંવરજી બાવળીયા ગુજરાતમાં કોળી સમાજ ભાજપ તરફી થઇ ગયો છે તેવો ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યું છે. જેને લઇને કોળી આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.
આગામી સમયમાં જસદણ વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસમાંથી કોને ઉભા રાખવા તે અંગે વિચારણા કરી છે અને આગામી દિવસોમાં રાજકોટમાં અને જસદણ-વિંછીયા ખાતે કોળી સમાજનું વિશાળ સંમેલન યોજી ચુંટણીની તૈયારીઓ કરવામાં આવશે.