Delhi News: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પંજાબ-દિલ્હીના કોંગ્રેસના નેતાઓ સાથે વટહુકમના મુદ્દે AAP દ્વારા કોંગ્રેસનું સમર્થન મેળવવાના મુદ્દા પર કરી રહ્યા છે ચર્ચા
દિલ્હીના CM કેજરીવાલ વિપક્ષી નેતાઓનો સતત કરી રહ્યા છે સંપર્ક
વટહુકમ સામે સમર્થન મેળવવા માટે ખડગે અને રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો
કોંગ્રેસ હાઈકમાન્ડ હવે દિલ્હી અને પંજાબના નેતાઓ સાથે કરી રહી છે બેઠક
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા વટહુકમ સામે વિપક્ષી નેતાઓનો સતત સંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે વટહુકમ સામે સમર્થન મેળવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પાસે પણ સમય માંગ્યો હતો. જેને લઈ કોંગ્રેસ હાઈકમાન્ડ હવે દિલ્હી અને પંજાબના નેતાઓ સાથે બેઠક કરી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી હાલમાં પંજાબ અને દિલ્હીના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠકમાં દિલ્હી અધિકારીઓની બદલી અંગે કેન્દ્રના વટહુકમના મુદ્દે AAP દ્વારા કોંગ્રેસનું સમર્થન મેળવવાના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે દિલ્હી અને પંજાબના કોંગ્રેસના નેતાઓની બેઠકમાં દિલ્હીના નેતાઓએ તેમને કહ્યું, કેમ દિલ્હીમાં AAP સાથે કોઈ ગઠબંધન ન થવું જોઈએ.
નેતાઓએ આપ્યું મોટું નિવેદન
મલ્લિકાર્જુન ખડગે સાથે દિલ્હી અને પંજાબના કોંગ્રેસના નેતાઓની બેઠકમાં દિલ્હીના નેતાઓએ તેમને કહ્યું કે, દિલ્હી અધિકારીઓની બદલી અંગે કેન્દ્રના વટહુકમના મુદ્દે પાર્ટીને અરવિંદ કેજરીવાલની સાથે ઊભા ન રહેવું જોઈએ. જોકે, નેતાઓએ અંતિમ નિર્ણય લેવાનું હાઇકમાન્ડ પર છોડી દીધું છે. આ બેઠકમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શક્તિ સિંહ ગોહિલ, પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી, પૂર્વ પ્રમુખ જેપી અગ્રવાલ, અજય માકન, સુભાષ ચોપરા, અરવિંદર સિંહ લવલી સહિત મનીષ ચતરથ, દેવેન્દ્ર યાદવ અને હારૂન યુસુફને બોલાવવામાં આવ્યા હતા.