ગુજરાતના અમદાવાદ સહિત અનેક શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને પોતાનું વાહન ના હોય તો આપણે રિક્ષામાં જવાનું પસંદ કરતા હોઈએ છીએ.પરંતુ જયારે ભાડાની વાત આવે ત્યારે સ્પેશ્યિલ રિક્ષાના ભાડાથી બચવા લોકો 3 પેસેન્જર બેસી શકે તે રિક્ષામાં 7 લોકો સાથે એડજસ્ટ કરીને જોખમી સવારી કરવા પણ તૈયાર થઈ જાય છે.
અમદાવાદનો અનોખો રિક્ષા ડ્રાઇવર
10 વર્ષથી યુનિક કન્સેપ્ટ પર ચલાવે છે રિક્ષા
અમિતાભ બચ્ચન સહિત અનેક દિગ્ગજોએ કરી છે તેની રિક્ષામાં સફર
પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીકળો છો ત્યારે તમને એવી રિક્ષામાં મુસાફરી કરવા મળે કે જે ખાસ પ્રકારની સુવિધાઓથી ભરપુર હોય!...તદુપરાંત અજાણ્યા હોવા છતાં જેમ ઘરમાં મહેમાનનું સ્વાગત કરવામાં આવે એ રીતે સ્માઈલી,હાર્ટ જેવા કપડાં પર ટેગ લગાડીને મોઢા પર મોટી સ્માઈલ સાથે રોયલ સવારી કરવા માટે આવકારવામાં આવે અને મુસાફરી દરમિયાન મેગેઝીન,છાપું,ફેન,મિનરલ વોટર સાથે નાસ્તાની લિજ્જત માણવા મળે તો કેવી મજા પડી જાય?
10 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે ભાડું લીધા વગર ચલાવે છે રિક્ષા
આ બધું વાંચીને મનમાં એવો પ્રશ્ન જરૂર ઉપજતો હશે કે આટલી બધી સગવડ ભોગવવા માટે તો મસમોટું ભાડું ચૂકવવું પડતું હશે ને?તો એના જવાબમાં તમને એવું જણાવીએ કે આ બધા માટે તમારે કોઈ ભાડું ચૂકવવાનું નથી. તો તરત જ બીજો પ્રશ્ન એ થતો હશે ને કે આજની આ મોંઘવારીમાં આટલી સુવિધા મેળવ્યા પછી પણ કોઈ ભાડું ચૂકવવાનું ના હોય એ પચાવવું થોડું અઘરું છે.પણ તમારે આ વાતને જરૂર પચાવવી પડશે કારણ કે, અમદાવામાં આવો જ એક સિતારો જે છેલ્લા 10 વર્ષથી યુનિક કન્સેપ્ટ સાથે ભાડું લીધા વગર રિક્ષા ચલાવે છે. જેનું નામ છે ઉદયસિંહ જાદવ...
ઉદયભાઈ જાદવની રિક્ષાની વિશેષતાઓ :
- ઉદયભાઈની રિક્ષામાં ડસ્ટબીન,લાયબ્રેરી,સોફ્ટબોર્ડ,ફેન,લાઈટની સાથે બીજી ઘણી બધી સુવિધાઓ છે.
- સત્ય અને અહિંસા નામના બે બોક્સ બનાવવામાં આવ્યા છે.
- એક બોક્સમાં મિનરલ પાણીની બોટલ અને બીજા બોક્સમાં મુસાફરો માટે થેપલાં,પુરી,સુખડી,હાંડવા જેવો નાસ્તો રાખવામાં આવે છે.
- બાળકોને અતિશય પસંદ ચોકલેટ આપવામાં આવે છે. આ સાથે જ નાના બાળક માટે રમકડાં પણ રાખવામાં આવ્યા છે.
- લોકજાગૃતિ માટે રિક્ષામાં અલગ-અલગ પ્રકારનાં સૂત્રો લખવામાં આવ્યા છે.
- ગાંધીજીના જીવનથી પ્રેરિત થઈને બા-બાપુના અનેક પ્રસંગો પોતાની રિક્ષામાં ઉદયભાઇએ કંડાર્યા છે.
- તે ઉપરાંત રિક્ષામાં 'અક્ષયપાત્ર' બોટલ રાખવામાં આવી છે જેમાં પોતાની રોજની કમાણીનો એક હિસ્સો જમાં કરવામાં આવે છે જે ગરીબ લોકોની પાછળ વાપરવામાં આવે છે.
- દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે ખાસ પ્રકારની હેરિટેજ ટુરનું આયોજન કરવામાં આવે છે જેમાં મહેમાનોને ગાંધી આશ્રમ, સિદી-સૈયદની જાળી ,
હઠ્ઠીસિંગના ડેરા, ભદ્રા ફોર્ટ, અમદાવાદની ગુફા, જેવા ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવે છે અને સાથે સાથે અમદાવાદના વારસા વિશે પણ માહિતગાર કરે છે.
રિક્ષા ડ્રાઈવર તરીકે ઉદયભાઈ જાદવ બીજાથી કઈ રીતે અલગ છે?
- ઉદયભાઈની રિક્ષામાં ઉપર જણાવેલી તમામ સુવિધાઓ તો છે જ પરંતુ ખાસ એ છે કે તે પોતાના કોઈપણ પેસેન્જર પાસેથી કયારેય ભાડું નથી માંગતા
- સફરના અંતમાં હાથમાં એક બોક્સ થમાવી દે છે જેમાં લખ્યું હોય છે 'Pay from your heart' મતલબ મુસાફરને પોતાના દિલથી જે પણ મૂકવું હોય તે બોક્સમાં મૂકી શકે છે.
- ઉદયભાઈ બીજા રિક્ષા ડ્રાઈવરથી એટલે અલગ છે કારણ કે, તેના દિવસની શરૂઆત થતાં પહેલાં પેસેન્જરનું ભાડું તેમના તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ આવતાં પેસેન્જર તેના પછીનાં પેસેન્જરનું ભાડું ગિફ્ટ આપે છે અને બસ આ રીતે ઉદયભાઈની રિક્ષા 'ગિફ્ટ ઇકોનોમી'ના મોડેલ પર ચાલે છે.
આ વિચાર ક્યાંથી આવ્યો?
- આ સંદર્ભમાં વાત કરતા ઉદયભાઈએ જણાવ્યું કે અમદાવાદમાં ચાલતા સેવા કેફે, કાલુપુર રામ રોટી જેવી સંસ્થા સાથે જોડાયેલા હતા અને એ જ સંસ્થાથી 2010માં પ્રેરણા મળી અને આત્મમંથન કરતા તેમને વિચાર આવ્યો કે તે પણ પૈસાને મહત્વ આપવાને બદલે લોકોની સેવા કરશે અને એજ વિચારને અમલમાં લાવીને તેમને આ યુનિક કન્સેપ્ટથી રિક્ષા ચલાવવાની શરૂઆત કરી તેમનું દ્રઢ પણે માનવું છે કે મારી રિક્ષામાં બેસીને લોકોના ચેહરા પર સ્મિત આવવું જોઈએ અને એટલા માટે જ એ બધાને પ્રેમ વહેંચવાનું કામ કરે છે.
પત્ની ખભે ખભો મળાવીને ઉદયભાઇને કરે છે મદદ
- મોંઘવારીના સમયમાં આ રીતે સેવા કરીને ગુજરાન ચલાવવું ઘણું કપરું છે પણ તેના આ કામમાં તેમના પત્ની ખભેથી ખભો મેળવીને સહભાગી બને છે અને ઉદયભાઈ દ્વારા દિવસના અંતે જેટલા પણ રૂપિયા આપવામાં આવે એમાં તેમના પત્ની ઘરનું ગુજરાન કરકસર કરીને ચલાવી લે છે રિક્ષામાં રાખવામાં આવતો નાસ્તો પણ તેમના પત્ની દ્વારા બનાવી આપવામાં આવે છે.
અનેક દિગ્ગજોએ મા'ણી છે સફર
અમદાવાદના આ સેલિબ્રિટી રિક્ષા ચાલકની રિક્ષામાં અમિતાભ બચ્ચન, કાજોલ, મોરારી બાપુ,પરેશ રાવલ, આશા પારેખ, ચેતન ભગત, ગુજરાતના મંત્રીઓ સહિત અનેક લોકોએ સફર કરી છે તેની રિક્ષામાં રાખેલી ફીડબેક બૂકમાં કાજોલ સહિત ઘણા બધા લોકોએ તેમના પ્રતિભાવ પણ આલેખ્યા છે.
માનવ સેવા એજ પ્રભુ સેવાની ભાવનાને કરે છે ઉજાગર
રિક્ષા ચલાવવાની સાથે માનવ સેવા એજ પ્રભુ સેવાની કહેવતને સાર્થક કરતા ઉદયભાઈ જાદવને આ યુનિક કન્સેપ્ટથી રિક્ષા ચલાવવામાં દસકો પૂરો થવા આવ્યો છે. શરૂઆતના સમયગાળામાં લોકો તેને ગાંડાની વ્યાખ્યા આપતા પરંતુ ઉદયભાઈના આ જ ગાંડા શોખ ના કારણે આજે ખુદ સેલિબ્રિટી બની ગયા છે.