લેન્ડવિક્રમ ભલે ચંદ્ર પર પહોંચવામાં થાપ ખાઈ ગયું હોય. પરંતુ ઈસરોના અધ્યક્ષ કે.સિવનનું જીવન પણ ચંદ્રયાન -2 મિશનની જેમજ અનેક પડકારો અને સફળતાઓથી ભરેલું છે. તેમણે અનેક મુશ્કેલીઓને પાર કરીને જમીનથી આસમાનની સફર પાર કરી છે. તો આવો જાણીએ એક ગરીબ ખેડૂતના ઘરમાં જન્મેલા સિવન કેવી રીતે મહેનતના બળે આ લક્ષ્ય સુધી પહોંચ્યા છે.
કે.સિવન થયાં ભાવુક
દેશવાસીઓ માટે અને દેશના વૈજ્ઞાનિકો માટે લેન્ડર ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ નહીં થવાની ઘટના જેટલી આઘાતજનક હતી તેટલી જ બીજી એક ક્ષણ ભાવુક પણ હતી. જ્યારે ઈસરોના ચેરમેન કે.સિવન પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને ભેટીને રડી પડયા તે ભાવુકક્ષણે અનેક દેશવાસીઓને આંખમાં આંસુ લાવી દીધા.
સાંત્વના માટે પીએમ જેવી હસ્તીનો ખભો
ભલે વૈજ્ઞાનિક હોઈએ કે સામાન્ય નાગરિક પણ જ્યારે આકરી મહેનત બાદ નિષ્ફતા મળે છે ત્યારે દરેકની મનોસ્થિતિ સરખી જ હોય છે. પરંતુ દરેકને સાંત્વના માટે પીએમ જેવી હસ્તીનો ખભો નથી મળતો. પરંતુ કે. સિવન આ પ્રકારનો અધિકાર મેળવનારા કોઈ જુદી જ માટીના માનવ છે. કે.સિવનનું જીવન અનેક મુશ્કેલીઓ અને સિદ્ધીઓથી હર્યું ભર્યું છે.
તમિલનાડુમાં જન્મ
દક્ષિણભારતના તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના સરાકલ્લવિલાઈ ગામમાં કે. સિવનનો જન્મ થયો હતો. કે. સિવનનો જન્મ 14 એપ્રિલ,1957માં થયો હતો. કે.સિવનના પિતાનું નામ કૈલાશવડીવૂ અને માતાનું નામ ચેલ્લમ છે. કે.સિવન પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં તમિલ માધ્યમમાં જ લીધું.
અભ્યાસ સાથે સાથે સીવમ પિતાને ખેતીકામમાં પણ મદદ કરતાં હતા. સીવમના પિતાની આર્થિક સ્થિતિ ખૂબજ નાજુક હતી. પરંતુ સીવમ અભ્યાસમાં તેજસ્વી હતા. આર્થિક સંકડામણ છતાં સિવમે ગણિત સાથે બીએસસી 100 માર્ક સાથે પૂર્ણ કર્યું. તેમના કુટુંબમાં સ્નાતક બનનાર સીવમ પ્રથમ વ્યક્તિ હતા.
પગરખા વગર જ ખેતી કામ કરવું પડતું
કે.સિવનનું જીવન બાળપણમાં અનેક અભાવોથી ભરેલું રહ્યું. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેમના પિતા ખેતીમાં કામ કરવા માટે બહારથી મજૂર લાવી શકતા ન હતા. સિવનને પગમાં પગરખા વગર જ ખેતી કામ કરવું પડયું હતું. ખેતીકામમાં મદદ મળે તે માટે તેમના તેમના પિતાએ ઘર પાસેની કોલેજમાં જ એડમિશન અપાવ્યું હતું. ત્યાં સુધી કે સિવને કોલેજ પૂરી કરી ત્યાં સુધી તેમનો પોશાક `ધોતી' રહ્યો. તેમણે જ્યારે એમઆઈટી માં પ્રવેશ લીધો ત્યારે પહેલીવાર પેન્ટ પહેરવા મળ્યું.
એમઆઈટી માંથી એયરો નોટિકલ એન્જીનીયરની ડિગ્રી મેળવ્યા બાદ
સિવન 1882માં ઈસરો સાથે જોડાયા. 2011માં સીવન GSLV મિશનના નિર્દેશક બન્યા. સિવનનું યોગદાન જોઈને 2014માં તેમને લિક્વીડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના નિદેશક બનાવાયા. તે પછી 1 જૂન-2015માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નિદેશક તરીકે પદભાર સોંપાયો. 15 જાન્યુઆરી, 2018થી તેઓ ઈસરોના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.
આપને કદાચ ખબર હશે જ કે સીવમે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં નિદેશક તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સંશોધિત રોકેટ બનાવાવમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. સીવને સાઈક્રોજેનિક એન્જિન, પીએસએલવી, અને જીએસએલવી રિયૂઝોબલ લોન્ચ વ્હીકલ કાર્યક્રમોમાં મોટું યોગદાન આપ્યુ છે. જેના કારણે સિવન રોકેટમેન તરીકે ઓળખાઈ રહ્યા છે. આવા વૈજ્ઞાનિક માટે વિક્રમ લેન્ડ ન થવું તે એક નિષ્ફળતા નથી પરંતુ નવા સંશોધન માટેની એક તક છે. જેની ભરપાઈ નજીકના ભવિષ્યમાં દેશને થઈ જશે. કેમ કે આપણી પાસે `સિવન' છે.