છેવાડાના વિસ્તારમાં દરેક વ્યક્તિને પ્રોજેક્ટ દિશાના માધ્યમથી ઘરે બેઠા આંખની યોગ્ય સારવાર મળી રહે તે માટે KD હોસ્પિટલ દ્વારા 'મેડિકલ વાન'ની સુવિધા શરૂ કરાઇ છે.
અમદાવાદની કે.ડી.હૉસ્પિટલ દ્વારા માનવતા ભરી પહેલ શરૂ કરાઇ
જરૂરિયાતમંદ લોકોને આંખોની સારવાર મળી રહે તે માટે મેડિકલ વાન શરૂ કરાઇ
અમદાવાદની કે.ડી. હોસ્પિટલ દ્વારા આંખોના રોગથી પીડિત જરૂરિયાતમંદ લોકો માટે માનવતા ભરી પહેલ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ લોકોને આંખોની સારવાર મળી રહે તે માટે "પ્રોજેક્ટ દિશા" અતંર્ગત 'વર્લ્ડ મેડિકલ એસોસિએશન' (World Medical Association) ના ભૂતપૂર્વ પ્રમુખ ડો. કેતન દેસાઈના હસ્તે મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આંખોની સારવાર માટેની આ મોબાઈલ વાન દ્વારા મહેસાણાના લિંચમાં પ્રથમ કેમ્પ યોજાયો હતો. જેમાં 453 લોકોએ આંખોની તપાસ કરાવી હતી જ્યારે 71 લોકોએ આંખોની વધુ સારવાર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
બાળકની તપાસમાં વધુ સારવારની જરૂર જણાશે તો બાળકોને નિ:શુલ્ક સારવાર અપાશે
મોબાઈલ આઈ કેર ક્લિનિક હોવાના કારણે દૂરના ગામડાઓમાં રહેતા અને ગરીબીની રેખાની નીચે જીવતા લોકોને આંખોની તપાસ દ્વારા આંખોની તકલીફથી માહીતગાર કરવામાં આવશે.
પ્રોજેક્ટ દિશા અંતર્ગત શહેરની કે.ડી. હોસ્પિટલ બાળકોની આંખની તપાસ કરવા માટે મનપા અને રાજ્ય સરકારના સહયોગથી સરકારી શાળાઓમાં પણ કેમ્પ યોજશે. બાળકની તપાસમાં વધુ સારવારની જરૂર જણાશે તો આ બાળકોને કે.ડી. હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. સરકારના સહયોગથી આગામી સમયમાં શાળાઓમાં અને અનેક ગામોમાં કેમ્પ કરવામાં આવશે. મહત્વનું છે કે, આ તમામ સારવાર નિ:શુલ્ક કરવામાં આવી રહી છે.
આ વિશે વધુ માહિતી આપતા ડૉ. અનુજા દેસાઇએ જણાવ્યું કે, 'દરેક વ્યક્તિ ભલે છેવાડાના વિસ્તારમાં પણ કેમ ન રહેતો હોય પરંતુ તેને સારી દ્રષ્ટિ મળવી જોઇએ. પ્રોજેક્ટ દિશાના માધ્યમથી અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીને તેમના ઘર આંગણે આંખની યોગ્ય સારવાર પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. કમ્યુનિટી આઇ ચેકઅપ દ્વારા આંખની યોગ્ય સારવાર તમામ લોકો સુધી પહોંચે તે અત્યારના સમયની તાતી જરૂરિયાત છે.'