યુજીસી અને એઆઇસીટીઈ પછી હવે નેશનલ મેડિકલ કમિશને ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલનો સ્ટડી કરવા પાકિસ્તાન ન જવાની ચેતવણી આપી છે.
નેશનલ મેડિકલ કમિશનની ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી
મેડિકલનો અભ્યાસ કરવા પાકિસ્તાન ન જતા
યુજીસી અને એઆઇસીટીઈ પણ વિદ્યાર્થીઓને આપી ચૂકી છે ચેતવણી
યુજીસી અને એઆઇસીટીઈ પછી હવે નેશનલ મેડિકલ કમિશને ભારતીય વિદ્યાર્થીઓને મેડિકલ સ્ટડી માટે પાકિસ્તાન ન જવાની ચેતવણી આપી છે. નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) દ્વારા જારી કરવામાં આવેલી જાહેર નોટિસમાં એવું જણાવાયું છે કે ભારતીય વિદ્યાર્થીઓએ મેડિકલ સ્ટડી માટે પાકિસ્તાન ન જવું જોઈએ. કમિશને કહ્યું કે પાકિસ્તાનમાં મેડિકલનું ભણીને આવતા વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી નહીં મળે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
મેડિકલનું ભણવા પાકિસ્તાન જશો તો ભારતમાં નહીં મળે નોકરી
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ સંબંધિતોને તબીબી શિક્ષણ માટે પાકિસ્તાન ન જવાની સલાહ આપવામાં આવે છે. ભારતનો કોઈ પણ ભારતીય નાગરિક/વિદેશી નાગરિક કે જે પાકિસ્તાનની કોઈ પણ મેડિકલ કોલેજમાં એમબીબીએસ/બીડીએસ અથવા તેને સમકક્ષ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છે છે, તે એફએમજીઇમાં પ્રવેશ મેળવવાને પાત્ર નહીં હોય. એટલું જ નહીં, આવી શૈક્ષણિક લાયકાતના આધારે કોઈ પણ વિદ્યાર્થી ભારતમાં ઉપરોક્ત કેટેગરીમાં નોકરી મેળવવાનો હકદાર બનશે નહીં.
યુજીસી અને એઆઇસીટીઈ પણ ભારતીય વિદ્યાર્થીઓને આપી ચૂકી છે ચેતવણી
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)એ પણ ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી. બંને નિયમનકારોએ કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન તરફ વળવું જોઈએ નહીં કારણ કે ત્યાંની ડિગ્રી ભારતમાં માન્ય નથી. જો કે બંને રેગ્યુલેટર્સે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને પણ રાહત આપી હતી. નિયમનકારોએ કહ્યું હતું કે, ભારતીય નાગરિકત્વ મેળવનારા આવા શરણાર્થીઓની ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ ગૃહ મંત્રાલયની મંજૂરી પછી ભારતમાં નોકરી માટે પાત્ર ગણી શકાય. એટલું જ નહીં ડિસેમ્બર 2018 પહેલા આવી ડિગ્રી માટે નોંધાયેલા લોકોને પણ છૂટ આપવામાં આવી છે.