યુપીની રાજનીતિમાં ચાલી રહેલી કહેવાતી તકરારની વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે તેમની કોઈ રાષ્ટ્રીય મહત્વકાંક્ષા નથી.
યુપી ભાજપમાં તકરારની વચ્ચે યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
યોગીએ રાષ્ટ્રીય મહત્વકાંક્ષાની વાતનો કર્યો ઈન્કાર
યોગીએ કહ્યું, સાંસદ હતો ત્યારે પણ મારી કોઈ મહત્વકાંક્ષા નહોતી
યુપી રાજનીતિમાં હલચલ પાછળ યોગીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષા હોવાનું ચર્ચાઈ રહ્યું છે
યોગી આદિત્યનાથે જણાવ્યું કે જ્યારે હું સાંસદ હતો ત્યારે પણ મારી કોઈ મહત્વકાંક્ષા નહોતી અને આજે પણ નથી. હું ભાજપનો એક સૈનિક છું. હકીકતમાં છેલ્લા થોડા દિવસથી યુપીની રાજનીતિમાં થઈ રહેલી હિલચાલ પાછળ યોગી આદિત્યનાથની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાને જવાબદાર માનવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય મહત્વકાંક્ષા પર શું બોલ્યા યોગી આદિત્યનાથ
એક ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે જણાવ્યું કે હું તો ભાજપનો એક સામાન્ય સૈનિક છું. જ્યારે સાંસદ હતો ત્યારે પણ મારી કોઈ મહત્વકાંક્ષા નહોતી આજે પણ નથી. હું એક સામાન્ય સૈનિક છું જે ભાજપના વિઝન અને વિકાસ, સુરક્ષા તથા સમૃદ્ધિ માટે પીએમ મોદીની ઝૂંબેશ પર કામ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની છેલ્લા ચાર વર્ષની ઉપલબ્ધિઓ છે, તેનાથી વધારે ખુશી બીજી કઈ હોઈ શકે.
યોગીના નિવેદનનો શું અર્થ
યોગીની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાવાળી અટકળોનો ઈન્કાર કરવાના ઘણા કયાસો લગાવાઈ રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસથી ભાજપ હાઈકમાન્ડ અને યોગી વચ્ચે જે તકરારની ચર્ચા હતી તેની પર વિરામ મૂકવાની કોશિશ છે. યોગીએ એવું પણ કહ્યું કે હવે અમારુ ધ્યાન આગામી વર્ષે યોજનારી ચૂંટણી પર છે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યાનુસાર, યુપીની રાજનીતિની કેન્દ્ર પર મોટી અસર રહેલી છે. 80 સાંસદોને દિલ્હી મોકલનાર રાજ્યના સીએમ પ્રધાનમંત્રી બનવાનું સપનું જોવે તેમાં કંઈ ખોટું નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે યોગી ઘણી વાર એવું પણ માનતા રહ્યાં છે કે ભાજપમાં પીએમ મોદી બાદ તેઓ વિકલ્પ છે. એટલે કે તેઓ યુપીની રાજનીતિમાંથી નીકળીને સીધા પ્રધાનમંત્રીની ખુરશી પર બેસવાની લાલસા ધરાવે છે. સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચાલી રહ્યું છે કે પીએમ કેવા હોય, યોગી જેવા.