ભારતના વિવિધ હિસ્સામાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સહિત નેતાઓએ ટિપ્પણી કરી હતી. હવે આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો. ભારતે આ પ્રકારની ટિપ્પણીને બિન જરૂરી ગણાવી હતી.
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારતના ખેડૂતોના વિરોધને લઇને કરી ટિપ્પણી
વિદેશ મંત્રાલયે કહ્યું દેશના આંતરિક બાબત પર ટિપ્પણ કરવી બિનજરૂરી
દિલ્હીમાં કૃષિ બીલને લઇને ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે અમે કોઇ કેનેડાના નેતાની ભારતના ખેડૂતો વિશેની કોમેન્ટ્સ સાંભળી છે. આ પ્રકારના નિવેદન બિનજરૂરી છે. તે પણ જ્યારે લોકતાંત્રિક દેશની કોઇ આંતરિક બાબત હોય. આ સાથે જ એ પણ જરૂરી છે કે, ડિપ્લોમેટિક વાતચીતને કોઇપણ રાજકીય ફાયદા માટે ઉપયોગ ન કરવો જોઇએ.
પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂતો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું
નોંધનીય છે કે, ખેડુતો કૃષિ કાયદા અંગે વિરોધ કરી રહ્યા છે ત્યારે દેશની રાજધાની નવી દિલ્હીમાં ચાલી રહેલા આ દેખાવો પર પણ સમગ્ર વિશ્વની નજર છે. આ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ખેડૂતો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે ખેડૂતોની સાથે વિરોધ સમાપ્ત કરવા માટે સરકારે આજે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનની બેઠક બોલાવી છે અને તેની માટે ખેડૂત નેતા રવાના પણ થઈ ગયા છે.
ટ્રુડોએ શું કહ્યું?
ટ્રુડોએ ગુરુપુરબ નિમિત્તે કેનેડાના લોકોને ખાસ કરીને સિખોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વીડિયોમાં તેમણે ખેડૂત આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ટ્રુડોએ કહ્યું, 'અમે તેમના પરિવાર અને મિત્રોની ચિંતા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ઘણા લોકો માટે આ સત્ય છે. ' આંદોલનને સમર્થન આપતાં ટ્રુડોએ આગળ કહ્યું કે, 'કેનેડા હંમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારનો બચાવ કરશે. અમે વાતચીતમાં માનીએ છીએ. અમે અમારી ચિંતાઓ ભારતીય વહીવટી સમક્ષ મૂકી છે. હવે બધાએ સાથે આવવાનો સમય આવી ગયો છે.
ટ્રુડોના મંત્રીની અપીલ
ટ્રુડો પહેલા કેનેડાના સંરક્ષણ પ્રધાન હરજિતસિંહે ટ્વિટર પર લખ્યું હતું - 'ભારતમાં શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ક્રૂરતા બતાવવી તે વિરોધ પ્રદર્શનમાં ખલેલ પહોંચાડે છે. મારા વિસ્તારમાં એવા ઘણા લોકો છે જેમના પરિવાર આ આંદોલનમાં છે અને તેઓ તેમની ચિંતા કરે છે. સ્વસ્થ લોકશાહી શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી આપે છે. હું આ મૂળભૂત અધિકારની સુરક્ષા કરવા અપીલ કરું છું. '
ભારત સરકારે ખેડૂત સંગઠનોને મંગળવારે બપોરે વિજ્ઞાન ભવન ખાતે બેઠક માટે બોલાવ્યા હતા, પરંતુ તે પહેલા પંજાબ કિસાન સંઘર્ષ સમિતિએ બેઠકમાં ભાગ ન લેવાનો સંકેત આપ્યો છે. સમિતિનું કહેવું છે કે, તમામ ખેડૂત સંગઠનોને આ બેઠકમાં બોલાવવા જોઈએ.