અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભારતે પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, વિદેશ મંત્રાલયે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાને આપેલ નિવેદનનો અમે અસ્વીકાર કરીએ છીએ. આ ભારતનો આંતરિક મામલો છે. તે કાયદાના શાસન અને તમામ ધર્મો, ખ્યાલો માટે સમાન આદર સાથે સંબંધિત છે, જે તેમનો મામલો નથી.
ભારતે પાકિસ્તાનના નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો
અયોધ્યા ભારતનો આંતરિક મામલો
વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની સમજણનો અભાવ આશ્ચર્યજનક નથી. નફરત ફેલાવવાના સ્પષ્ટ હેતુ સાથે અમારી આંતરિક બાબતો પરની ટિપ્પણી નિંદાકારક છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ અયોધ્યા કેસ અંગેના નિર્ણયના સમય અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
પાકના વિદેશ મંત્રીનું નિવેદન
તેમણે કહ્યું કે જે દિવસે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થાય છે, તે દિવસે અયોધ્યા કેસ અંગે નિર્ણય આપવામાં આવી રહ્યો છે. પાક વિદેશ પ્રધાને કહ્યું કે, શું કોઈ નિર્ણયની રાહ થોડા દિવસો સુધી રાહ નથી જોવાઇ શકતી.
સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
વર્ષો સુધી ચાલેલ કાયદાકીય લડાઇ, 40 દિવસ સુધી સતત મેરેથોન સુનાવણી બાદ આજે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો લાંબા સમય બાદ ચુકાદો આવ્યો છે. રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજોની પીઠે સર્વસમ્મતિ એટલે 5-0થી ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવતા સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફબોર્ડને જ પક્ષકાર માન્યા.
જોકે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો. કોર્ટે સાથે એ પણ આદેશ આપ્યો કે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ ક્યાંક બીજે 5 એકર જમીન આપવામાં આવે. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવા માટે કહ્યું છે.