અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોનાને લઇને ચોતરફ કામગીરી કરી રહ્યું છે ત્યારે હવે ગાઇડલાઇન્સના ભંગ સામે પણ કામગીરી હાથ ધરી છે. જેમાં એએમસી માસ્ક નહીં પહેરવા બદલ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદના મેમનગર વિસ્તારનું મેક ડોનાલ્ડ આઉટલેટ સીલ કરાયું છે.
આ અગાઉ કોર્પોરેશન અમદાવાદ વન મોલને પણ સીલ કર્યો હતો
અમદાવાદમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, બીજી તરફ અનલૉક 3 પણ લાગૂ થઇ ચૂક્યું છે. તેવામાં હવે લોકો વધુ બેદરકાર બનતા નજરે પડી રહ્યા છે. અનેક લોકો માસ્ક પહેર્યા વિના રોડ અને મોલ પર નજરે પડી રહ્યા છે. ત્યારે હવે આ વાત અમદાવાદ કોર્પોરેશનને ધ્યાને આવતા કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, રક્ષાબંધનના દિવસે અમદાવાદ વન મોલને સીલ કરી દીધો હતો.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા મેકડોનાલ્ડને એએમસીએ સીલ કરી દીધો છે. અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે મેક ડોનાલ્ડ આઉટલેટ યુવાઓ માટે નાસ્તાનું મનપસંદ સ્થળ છે.
આ અગાઉ કોર્પોરેશન અમદાવાદ વન મોલને પણ સીલ કર્યો હતો
મહત્વનું છે કે, ગઇકાલે રક્ષાબંધનના દિવસે સૌથી મોટા આલ્ફા મોલ તરીકે જાણીતા અમદાવાદ વન મોલને મનપા દ્વારા સિલ કરવામાં આવ્યો છે. મોલમાં કોરોના ગાઈડલાઇન અને સોશિયલ ડિસ્ટનસિંગના લિરેલીરા ઉડ્યા હતા. આ મોલમાં રક્ષાબંધનના તહેવારને કારણે મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોની ભીડ માસ્ક વગર જ જોવા મળતા આખરે કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગની ટિમ મોલ ખાતે પહોંચી હતી. બાદમાં મોલમાં રહેલા લોકોને બહાર કાઢી મોલ ખાલી કરાવ્યો હતો. અચરજની વાત અહીં એ છે કે શું કોરોના કાળમાં આ મોલ સત્તાધીશોને ભીડ ભેગી કરી કોરોનાને બેકાબુ કરવો હતો ? સૌ કોઈને ગાઈડલાઇનનું પાલન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે તેમ છતાં મોલના સત્તાધીશોએ ભીડ એકઠી કરી હતી. જેને લઈ મનપા દ્વારા મોલને નોટિસ આપી સિલ કરવામાં આવ્યો હતો.
હાલ અમદાવાદમાં કોરોનાની શું છે સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 138 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 27,122 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 107 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,804 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1614 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3781 એક્ટિવ કેસ છે.