ઉત્તરપ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીના પરિણામની સમીક્ષા કરતા બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ મોટું નિવેદન આપ્યું છે. માયાવતીનું કહેવું છે કે ગઠબંધનથી ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળ્યા નથી. એમણે દાવો કર્યો છે કે યાદવ વોટ ટ્રાન્સફર ન થયા.
તેથી હવે ગઠબંધનની સમીક્ષા કરવામાં આવશે. આટલું જ નહીં માયાવતીએ કહ્યું કે, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પત્ની અને ભાઇને પણ ચૂંટણી ન જીતાડી શક્યા. સૂત્રો મુજબ, માયાવતીના આ વલણ બાદ સપા-બસપા ગઠબંધન તુટવાની શક્યતા નજરે પડી રહી છે.
બીએસપી પ્રમુખ માયાવતીએ સોમવારે દિલ્હીમાં ચૂંટણી હારની સમીક્ષા કરી. 2019 લોકસભા ચૂંટણીમાં બીએસપીએ સંતોષજનક બેઠક ન મળવા અને કેટલાક પ્રદેશોમાં કારમી પરાજયને લઇને માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની અખિલ ભારતીય સ્તરની મીટિંગ બોલાવી છે. યૂપીના તમામ બસપા સાંસદો અને જિલ્લા અધ્યક્ષો સાથે બેઠકમાં માયાવતીએ કહ્યું કે પાર્ટી તમામ વિધાનસભાની પેટા ચૂંટણીમાં લડશે અને હવે 50 ટકા વોટના લક્ષ્યને લઇને રાજનીતિ કરશે. આ સાથે માયાવતીએ ઇવીએમ પર છેડછાડનો આરોપ લગાવ્યો.
માયાવતીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સમાજવાદી પાર્ટીમાં એ વાતને લઇને સમીક્ષા થઇ રહી છે કે બીએસપી સાથે ગઠબંધન કરવા પર કેટલો ફાયદો અથવા નુકશાન પહોંચ્યું છે. આપને જણાવીએ કે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને માત્ર 5 બેઠક મળી છે. અને ગત ચૂંટણીમાં એક બેઠક ન જીતનારી બીએસપીને 10 બેઠક મળી છે. આ પરિણામ બાદ સમાજવાદી પાર્ટીમાં અંદરો અંદર ચર્ચા થઇ હતી કે બીએસપીના વોટ સપામાં ટ્રાન્સફર ન થયા.
આ વાતની આશંકા સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે પહેલા જ વ્યક્ત કરી હતી અને તેમની વાત બાદમાં સાચી સાબિત થઇ. બસપા સાથે ગઠબંધન કર્યા બાદ પણ સમાજવાદી પાર્ટી માત્ર 5 બેઠકમાં સમેટાઇ ગઇ છે. સપાનો ગઢ માનવામાં આવતી કન્નોજ, બદાયૂ અને ફિરોજાબાદ બેઠક પરથી પરિવારના સભ્યો ચૂંટણી હારી ચુક્યા છે.
અહીં ઘણા લોકોનું એમ પણ માનવું છે કે ગઠબંધનની બેઠક પર માયાવતીએ મન મુજબ બેઠક મેળવી લીધી છે. મતોના આદાન-પ્રદાનની રીતે જોઇએ તો જે 10 બેઠકો પર બસપાએ જીત મેળવી છે. ત્યાં સમાજવાદી પાર્ટી 2014માં બીજા સ્થાને હતી. આ કારણે સપાને અસફળતા મળી છે. આ ઉપરાંત નગીના, બિજનોર, શ્રીવસ્તી, ગાજીપુર બેઠકો પર સપાના પક્ષમાં સમીકરણ હતું. બીજુ કારણ ગઠબંધનની કેમેસ્ટ્રી જમીન પર ન પહોંચી શકી.