એક્ઝિટ પોલના પરિણામો વચ્ચે આજે ઉત્તરપ્રદેશમાં સપાના અખિલેશ યાદવ બીએસપી સુપ્રિમો માયાવતીને મળવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે અખિલેશની માયાવતી સાથેની મુલાકાતે રાજનીતિક સમીકરણોને લઇને ચર્ચા જગાવી છે.
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતાંની સાથે જ તમામ પક્ષો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે જરૂરી સમીકરણો રચવાની કવાયતમાં લાગી ગયા છે પણ ગઈ કાલે સાંજથી આવેલા એક્ઝિટ પોલની અસર વિપક્ષની એકતા પર જોવા મળી રહી છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પૂર્ણ બહુમતી મળતી હોવાનું દર્શાવાયું છે.
તેની સૌથી મોટી અસર સીધી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના રાજકારણમાં જોવા મળી છે. બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સુપ્રીમો માયાવતી આ સંજોગોમાં તેમનાં પત્તાં ખોલવાં ઈચ્છતાં નથી. માયાવતી આજે નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને મળવાનાં હતાં, પણ હવે અચાનક જ તેમણે દિલ્હીની મુલાકાત રદ્દ કરી દેતાં રાજકારણ ગરમાયું છે.
બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ નિવેદન આપી જણાવ્યું છે કે, બસપા અધ્યક્ષ માયાવતી આજે દિલ્હી નહીં આવે. તેઓ લખનૌમાં જ રહેશે. દિલ્હી જવાનો તેમનો કોઈ કાર્યક્રમ નથી કે તેઓ કોઈ બેઠકમાં ભાગ પણ લેવાના નથી. હકીકતમાં માયાવતી આજે દિલ્હીમાં સોનિયા અને રાહુલ સાથે બેઠક કરીને તેમાં ૨૩ મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીનાં પરિણામો અને ત્યારબાદની ગઠબંધનની રણનીતિ અંગે ચર્ચા કરવાના હતા.
એક તરફ તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ સતત વિપક્ષના નેતાઓ સાથે બેઠકો યોજી રહ્યા છે અને મહાગઠબંધનની ભૂમિકા તૈયાર કરી રહ્યા છે ત્યારે સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું છે કે, જો જરૂર પડશે તો સપા કોંગ્રેસને સમર્થન આપી શકે છે. અખિલેશે જણાવ્યું હતું કે, ગઠબંધનની અટકળો પર હજુ પૂર્ણવિરામ મૂકાયું નથી.
ગઠબંધનના સૂત્રધારની ભૂમિકા અદા કરી રહેલા ચંદ્રાબાબુ નાયડુએ શનિવારે માયાવતી અને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયડુએ આ બંને નેતાઓને સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાનારી વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લેવા માટે મનાવ્યા હતા, પણ માયાવતીએ હાલના તબક્કે કોઈ સ્ટેન્ડ ક્લિયર નહીં કરવાની વાત જણાવી હતી. બસપાનાં સૂત્રોનો દાવો છે કે, માયાવતી પરિણામોની રાહ જોવા ઈચ્છે છે. પરિણામો જાહેર થાય તે પછી જ માયાવતી નક્કી કરશે કે કોંગ્રેસ સાથે જવું કે નહીં.