સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનને લઇને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ જણાવ્યું છે કે પક્ષના હિતને ધ્યાનમાં લઇને બસપા હવે પછી યોજનારી દરેક નાની-મોટી ચૂંટણી એકલા હાથે લડશે. માયાવતીએ લખ્યું છે કે બીએસપીની ઓલ ઇન્ડિયા બેઠક ગઇ કાલે લખનઉમાં અઢી કલાક ચાલી હતી.
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ લોકસભા ચૂંટણીમાં મળેલી હારનું ઠીકરું સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર ફોડયું છે. માયાવતીએ કહ્યું કે અખિલેશ યાદવ નહોતા ઇચ્છતા કે મુસલમાનોને વધુ ટીક આપવામાં આવે. માયાવાતીએ જણાવ્યું કે અખિલેશનું માનવું હતું કે આમ કરવાથી મતોનો ધ્રુવીકરણ થશે.
માયાવતીએ ગઠબંધનને મળેલી હાર માટે જવાબદાર સમાજવાદી પાર્ટીના નેતાઓ પર કાર્યવાહી ન કરવા પર પણ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. માયાવતીના જણાવ્યા અનુસાર પ્રચાર સમયે આરક્ષણનો વિરોધ કરવાના કારણે દલિતો અને પિછડી જાતિએ સમાજવાદી પાર્ટીને મત આપ્યાં નહીં.
બસપા સુપ્રીમો માયાવતીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં ગઠબંધનની હાર બાદ અખિલેશ યાદવે તેને ફોન પણ કર્યો નથી. જો કે ઉંમરમાં તેના કરતા મોટી હોવાના કારણે મે તેને ફોન કર્યો અને તેના પરિવારના સભ્યોની હાર પર સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેવી જ રીતે જ્યારે અમે પેટાચૂંટણી અલગ-અલગ લડવાની વાત કરી ત્યારે પણ અખિલેશ યાદવે મને ફોન કર્યો નથી.
માયાવતીએ આરોપ લગાવ્યો કે તાજ કોરિડોર મામલે તેમના વિરુધ્ધ ભાજપના ષડયંત્રમાં સપાના તત્કાલિન પ્રમુખ મુલાયમસિંહ યાદવ પણ સામેલ હતા. એટલું જ નહીં 2006માં જ્યારે બસપાના સંસ્થાપક કાશીરામજીનું મૃત્યું થયું ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકારની જેમ યુપીની મુલાયમ સિંહ સરકારે એકપણ દિવસનો શોક જાહેર કર્યો નહી અને તેમના દુઃખદ અવસાન પર શોક પણ વ્યક્ત કર્યો નહીં.