પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યાં છે. તો આ અંગે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કોંગ્રેસના નિર્ણય પર ધારદાર સવાલ ઉભા કર્યા છે.
પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીને CM બનાવવા કોંગ્રેસનો એક ચૂંટણી ખેલ
માયાવતીએ કોંગ્રેસના નિર્ણય પર ધારદાર સવાલ ઉભા કર્યા
કોંગ્રેસ બસપા અને અકાલીદળના જોડાણથી ચિંતિત: માયાવતી
પંજાબના મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસનો એક ચૂંટણી ખેલ: માયાવતી
માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચરણજીત સિંહ ચન્નીને ફક્ત થોડા સમય માટે પંજાબના મુખ્યમંત્રી બનાવવા કોંગ્રેસનો એક ચૂંટણી ખેલ છે. કોંગ્રેસ આગામી ચૂંટણી પણ દલિતો વગરની આગેવાનીમાં લડશે. જે જણાવે છે કે કોંગ્રેસને દલિતો પર સંપૂર્ણ વિશ્વાસ નથી.
કોંગ્રેસના આ નિર્ણયથી દલિતોએ સાવધાન રહેવુ: માયાવતી
માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના આ નિર્ણયથી દલિતોએ સાવધાન રહેવુ જોઈએ. કોંગ્રેસ બસપા અને અકાલીદળના જોડાણથી ચિંતિત થઇ છે. માયાવતીએ કટાક્ષમાં કહ્યું કે, રાજકીય પાર્ટીઓને મુશ્કેલી અને મજબુરીમાં જ દલિતો યાદ આવે છે. જ્યારે ભારતીય બંધારણ બનાવવાનો સમય આવ્યો ત્યારે જો જવાહર લાલ નહેરૂ અને તેની કંપની પાસે કોઈ કર્મનિષ્ઠ વ્યક્તિ હોત તો બાબાસાહેબ આંબેડકરને બંધારણ બનાવવાની જવાબદારી પણ ના સોંપેત. માયાવતીએ કહ્યું કે જો બાબાસાહેબે બંધારણ ના બનાવ્યું હોત તો દેશમાં આજે દલિતો અને લઘુમતી સમુદાય સુરક્ષિત ના હોત.
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હવે થોડો સમય બાકી
ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હવે થોડો સમય બાકી રહ્યો છે. તેની પહેલાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યાં છે. કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતનું કહેવુ છે કે કોંગ્રેસ ચૂંટણી નવજોત સિંહ સિદ્ધૂની આગેવાનીમાં લડશે.