બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી (Mayawati) એ નાગરિકતા સંશોધન કાયદો (CAA) એનપીઆર (NPR) અને એનઆરસી (NRC)ને લઇને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. માયાવતીએ લખનઉમાં આપેલા શાહના એ નિવેદન પર ટ્વિટ કર્યું જેમા તેઓએ સપા-બસપા સહિત તમામ વિપક્ષી પાર્ટીઓને CAA, NRC પર ચર્ચાનો ખુલ્લો પડકાર આપ્યો હતો. તેના પર હવે માયાવતીએ તેઓના પડકારનો સ્વીકાર કર્યો છે.
CAA-NRCના વિરોધ કરી રહેલી વિપક્ષી પાર્ટીઓને અમિત શાહે આપ્યો હતો પડકાર
BSPના સુપ્રીમો માયાવતીએ કેન્દ્ર સરકારના ખુલ્લા પડકારનો સ્વીકાર કર્યો છે
અમિત શાહે કહ્યું હતું કે, સીએએને લઇને વિપક્ષના નેતા ભ્રમ ફેલાવી રહ્યા છે
બસપા પ્રમુખનું નિવેદન
માયાવતીએ પોતાના ટ્વિટમાં લખ્યું, 'વિવાદિત CAA-NRC-NPRની વિરુદ્ધ આખા દેશમાં ખાસ કરીને યુવાઓ અને મહિલાઓના સંગઠીત થઇને સંઘર્ષ અને આંદોલન કરવાથી હેરાન કેન્દ્ર સરકાર દ્વારા લખનઉની રેલીમાં વિપક્ષને આ મુદ્દા પર ચર્ચા કરવાના પડકારને BSP કોઇપણ મંચ પર સ્વીકાર કરવા તૈયાર છે.'
અમિત શાહે આપ્યો પડકાર
મંગળવારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએએ (CAA)ના સમર્થનમાં આયોજિત એક રેલીમાં સંબોધિત કરતા અમિત શાહે કોંગ્રેસ, સપા અને BSPને આ મુદ્દા પર ખુલ્લા મંચ પર ચર્ચાનો પડકાર આપ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, સીએએને લઇને વિપક્ષના નેતા ભ્રમ ફેલાવી રહ્યા છે.