બસપાના સુપ્રીમો માયાવતીએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશની વિધાનપરિષદ અને રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને હરાવવા માટે કટિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું છે કે તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને હરાવવા માટે ભાજપને વોટ કરવા પણ તૈયાર છે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે બહુજન સમાજ પાર્ટીએ 2019ની લોકસભાના ઈલેક્શનમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવા જેવું નહોતું.
તેઓએ ભાજપને હરાવવા 20 વર્ષ પછી પહેલી વાર ગઠબંધન કર્યું હતું. 2019માં આ બંને પક્ષોએ ગઠબંધન બનાવ્યું હોવાથી મિત્રતાના પગલે બસપાએ મુલાયમ સિંહ સામેનો 1995નો કેસ પાછો ખેંચી લેવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. માયાવતીનો આક્ષેપ છે કે સપાનો ગઠબંધન કરવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ હતો કે બસપા મુલાયમસિંહ સામેનો આ કેસ પાછો ખેંચી લે.
હવેના રાજકીય સમીકરણો જોતા બસપા અને સપા વચ્ચેના ગઠબંધનનો જ નહીં તેમની રાજનૈતિક મિત્રતાનો પણ અંત આવ્યો છે તેવું કહી શકાય.