ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારત સામેની લિમિટેડ ઓવરની શ્રેણીમાં ઘણા રન બનાવ્યા.
ત્રણ વન ડે મેચની શ્રેણીમાં મેક્સવેલે ૮૩.૫૦ની સરેરાશથી ૧૬૭ રન બનાવ્યા, જેમાં તેના ૧૨ ચોગ્ગા અને ૧૧ છગ્ગા સામેલ હતા, જ્યારે ટી-૨૦ શ્રેણીમાં તેણે ૧૫૦ના સ્ટ્રાઇક રેટથી ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૭૮ રન બનાવ્યા.
IPLમાં 13 મેચમાં એક છગ્ગો ન ફટકારી શક્યો મેક્સવેલ
ભારત સામેની લિમિટેડ ઓવરમાં તેણે કુલ છ મેચમાં ૧૬ છગ્ગા ફટકાર્યા, પરંતુ જ્યારે આ જ મેક્સવેલ આઇપીલમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહ્યો હતો ત્યારે તેના બેટમાંથી ૧૩ મેચમાં એક પણ છગ્ગો નીકળ્યો નહોતો. સમગ્ર સિઝનમાં તેણે માત્ર ૧૦૮ રન જ બનાવ્યા.
ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ મેક્સવેલ ઉપર ગિન્નાયો
ઓસ્ટ્રેલિયા તરફથી તોફાની બેટિંગ કરીને રન બનાવ્યા બાદ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ મેક્સવેલ ઉપર ગિન્નાયો છે. વીરુએ કહ્યું, ''આઇપીએલમાં મેક્સવેલ બધું જ કરશે- ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે, હરશે-ફરશે, ડાન્સ કરશે, બસ રન જ નહીં બનાવે. મેચ પૂરી થતાં જ મળી રહેલું મફતનું ડ્રિન્ક લઈને પોતાના રૂમમાં જતો રહેશે. મને નથી લાગતું કે તે આઇપીએલને લઈને ગંભીર છે. જ્યારે તે આઇપીએલમાં આવે છે ત્યારે તે ક્રિકેટના બદલે ગોલ્ફની રમત પ્રત્યે વધુ ગંભીર રહે છે.''
મેક્સવેલ ઓસ્ટ્રેલિયા તરફથી રમે છે ત્યારે તેનું વલણ બદલાઈ જાય છે
વધુમાં વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું કે, ''જ્યારે તે (મેક્સવેલ) ઓસ્ટ્રેલિયા તરફથી રમે છે ત્યારે તેનું વલણ બદલાઈ જાય છે. તે જાણે છે કે જો તેની બે કે ત્રણ ઇનિંગ્સ ખરાબ રહી તો તેને ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી હાંકી કાઢવામાં આવશે અને વાપસી કરવી મુશ્કેલ બની જશે.''
વીરુની આ વાત એકદમ સાચી છે એ વાતની સાક્ષી મેક્સવેલની બેટિંગના આંકડા પુરાવે છે. આઇપીએલ રમાઈ રહી હતી ત્યારે પણ વીરેન્દ્ર સેહવાગે અનેક વાર મેક્સવેલને આડા હાથે લીધો હતો, જેની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ થઈ હતી.