4 ફેબ્રુઆરી એટલે કે આજે સોમવારના દિવસે પોષ મહિનાની અમાસ છે. જેને મૌન અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર વ્પતિયાત યોગ સર્વાર્થસિદ્ઘિ યોગ અને સોમવારના હોવા કારણે મહોદય યોગ બને છે. આ માટે કુંભ મેળામાં આજે બીજું શાહી સ્નાન કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર કુંભ આરંભ થવાની મૂળ તિથિ પણ આ જ છે. આજે અમાસ રાત્રે 8.10 મિનિટ સુધી રહે છે. અમાસે શિવ અને પિતૃની ઉપાસના શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને અત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે ગંગા સ્નાનનું મહત્વ બમણુ થઇ જાય છે.
ભારતીય પરંપરામાં મૌનનું ખાસ મહત્વ છે. આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે મૌન ધારણ કરવામાં આવે છે અને ભૌતિક દ્રષ્ટિએ પણ વાણીનું બળ વધે એટલે તેમાં તેજની પ્રાપ્તિ થાય તે માટે પણ મૌન રાખવામાં આવે છે. આ દિવસ સાધકો માટે મહત્ત્વનો ગણવામાં આવે છે. સામાન્ય રીતે ગંગા નદીમાં સ્નાન અને સૂર્યાર્ધ્યનું ખાસ મહત્વ છે. ત્યારે આ દિવસે જે પણ સાધકો-શ્રદ્ઘાળુઓ હોય તેમણે નદીમાં સ્નાન કરવુ જોઇએ. ખાસ કરીને ધાર્મિક દૃષ્ટિએ પણ આ દિવસ સાધના માટે મહત્વનું માનવામાં આવ્યુ છે.
આ દિવસે મૌન ધારણ કરીને આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવજીનાં દર્શન પણ સવિશેષ ફળદાયી બની રહે છે. ખાસ કરીને આ દિવસે પિતૃઓની કૃપા મેળવવા માટે પણ ઉત્તમ દિવસ છે માટે આ દિવસે પીપળાને જળ અર્પણ કરતા કરતા પ્રદક્ષિણા કરવી જોઇએ અને દીવો કરવો જોઇએ. આ દિવસે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પઠન પણ પીપળાના વૃક્ષ નીચે બેસીને કરવું જોઇએ.
શક્ય હોય સૂર્યોદયથી બીજા દિવસનાં સૂર્યોદય સુધીનું મૌન રાખવું અને મૌન સાથે ઇષ્ટદેવના મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. મન-વચન અને કર્મથી પણ કોઇનું અહિત ન થાય તેવુ માત્ર એક જ દિવસ નહી સમગ્ર વર્ષ દરમિયાન આચાર-વિચારમાં આવી જાય તેવો ઉચ્ચ હેતુ પણ આ મૌન અમાસ સૂચવે છે.