Mathura Shahi Mosque Controversy: શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, મથુરાની મેનેજમેન્ટ કમિટી વતી દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
મથુરા શાહી ઈદગાહ અને કૃષ્ણ જન્મભૂમિ વિવાદ
જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ
લગભગ 11 એકરમાં છે શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિર
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટમાં મથુરા શાહી ઈદગાહ કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. હવે કોર્ટ આ મામલે 24 એપ્રિલે પોતાનો ચુકાદો સંભળાવશે. શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટની મેનેજમેન્ટ કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ મથુરા વતી દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. મથુરા કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર હાઈકોર્ટે પહેલા જ રોક લગાવી દીધી હતી. હવે જસ્ટિસ પ્રકાશ પડિયાએ શાહી મસ્જિદ ઈદગાહ ટ્રસ્ટ અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.
મહેન્દ્ર પ્રતાપ સિંહે દાખલ કર્યો હતો દાવો
શાહી ઈદગાહના સર્વેને લઈને સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ મહેન્દ્ર પ્રતાપ સિંહે દાવો દાખલ કર્યો હતો, જેને નીચલી કોર્ટે ફગાવી દીધો હતો. બાદમાં જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રિવિઝન દાખલ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન વતી સિવિલ જજની કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરીને 20 જુલાઈ, 1973ના નિર્ણયને રદ કરવાની તથા કટરા કેશવ દેવની 13.37 એકર જમીનને શ્રી કૃષ્ણના વિરાજમાનના નામે જાહેર કરવાની માંગણી કરી હતી.