ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ગોવર્ધનના ઇદગાહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ ઘટનાને લઇને 4 લોકોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તાજેતરમાં જ નંદગામના નંદબાબ મંદિરમાં 2 મુસ્લિમ યુવકોએ નમાજ પઢતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ગોવર્ધનના ઇદગાહમાં યુવકોએ હનુમાન ચાલીસા વાંચી
જય શ્રી રામના લગાવ્યા નારા
બંન્ને યુવકોની પોલીસે કરી ધરપકડ
જો કે, આ ઘટના બાદ બંન્ને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ ઘટનાના પડઘા હજી શાંત પડ્યા નથી ત્યાં ગોવર્ધનમાં 4 યુવકોએ બરસાના રોડ સ્થિત ઇદગાહમાં હનુમાન ચાલીસાનું વાંચન કર્યું હતું.
4 યુવકોની પોલીસે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, ગોવર્ધનમાં રહેતા 4 યુવકો સૌરભ લંબરદાર, રાઘવ મિત્તલ, કાન્હા ઠાકુર, કૃષ્ણા ઠાકુર ઇદગાહ પરિસરમાં પહોંચ્યા અને હનુમાન ચાલીસા વાંચીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી હતી અને સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ યુવકોની ધરપકડ કરી હતી.
એસએસપી ડો.ગૌરવ ગ્રોવરે આપ્યું નિવેદન
એસએસપી ડો.ગૌરવ ગ્રોવરે જણાવ્યું હતું કે મથુરાને હિન્દુ-મુસ્લિમ સૌહાર્દના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે અને આવી સ્થિતિમાં કોઈ પણ સમુદાયના કોઈ પણ વ્યક્તિને શાંતિ ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તે જ સમયે, મથુરાના ડીએમ, સર્વજ્ઞ રામ મિશ્રાએ કહ્યું કે કાયદાથી મોટો કોઈ નથી. કોઈ પણ વ્યક્તિએ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ફેલાવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નંદગાંમમાં નંદ ભવન મંદિર પરિસરમાં નમાજ પઢી
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગત દિવસોમાં બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હી નિવાસી ફૈજલ ખાન અને તેમના મિત્રએ નંદગાંમમાં નંદ ભવન મંદિર પરિસરમાં નમાજ પઢી અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ સંબંધમાં ચાર લાખ લોકોની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. બીજી તરફ આ મામલા પર યૂપીના મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે આ અસામાજિક તત્વોનું કામ છે. આવા લોકો પર કડકાઈથી વર્તવું જોઈએ.
પોલીસના જણાવ્યાનુંસાર એક સેવાકર્મીની ફરિયાદ પર સ્થાનીય પોલીસે આરોપી ફૈજલ ખાન, તેના મુસ્લિમ મિત્ર અને 2 હિંદુ સાથીઓની વિરુદ્ધ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા, ધાર્મિક સંપ્રદાયોની વચ્ચે વૈમનસ્ય પૈદા કરવા, સમાજમાં આવો ભય પેદા કરવા, કે જેનાથી સ્થિતિ ખરાબ હોવાના અણસાર હોય અને ઉપાસના સ્થળને અપવિત્ર કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો છે.