જમ્મૂ કાશ્મીરમાં રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડી પર માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફા મંદિરને કોરોના મહામારીના કારણે ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી હતી. અનેક જગ્યાએ મંદિરોને ખોલવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે માતા વૈષ્ણોદેવીના દ્વાર ભક્તો માટે હજુ પણ બંધ જ છે. માહિતી મળી રહી છે કે શ્રાઈન બોર્ડ મંદિરને ફરીથી દર્શન માટે ખોલવાની તૈયારીઓ કરી રહ્યું છે. તેઓએ એસઓપી પણ તૈયાર કરી છે.
શ્રાઈન બોર્ડ તૈયાર કરી રહ્યું છે એસઓપી
માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી મળતી માહિતી અનુસાર મંદિરમાં સાર્વજનિક દર્શન માટે એસઓપી તૈયાર કરાઈ રહી છે. અહીં રોજ ફક્ત 5000થી 7000 ભક્તોને દર્શનની અનુમતિ આપવામાં આવશે, સાથે જ કટરા પહોંચતા પહેલાં ઓનલાઈન દર્શનની અરજી કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
500 વર્ષોમાં પહેલી વાર બંધ થયા દર્શન
શ્રી માતા વૈષ્ણોદેવીનું મંદિર 500 વર્ષોમાં પહેલીવાર બંધ થયું છે. પહેલી વાર એવું બન્યું છે કે લોકોને માતાના દર્શન કરવાથી રોકવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની લડાઈ સમયે માતા વૈષ્ણોદેવી મંદિર ક્યારેય બંધ થયું નથી. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
એન્ટ્રી પોઈન્ટ પર થશે યાત્રીઓનું સ્ક્રીનિંગ
મળતી માહિતી અનુસાર માતાના દર્શન માટે આવનારા યાત્રીઓનું સ્ક્રીનિંગ કટરામાં એન્ટ્રી પોઈન્ટ પર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ યાત્રા શરૂ કરતાં પહેલાં શ્રદ્ધાળુઓના કોરોના ટેસ્ટના સર્ટિફિકેટ માંગી શકાય છે. આ સિવાય દરેક યાત્રીઓની વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાય તે માટે થોડા થોડા યાત્રીઓને દર્શન માટે મોકલાશે. યાત્રા અને દર્શન સમયે માસ્ક પહેરવું જરૂરી રહેશે. શ્રાઈન બોર્ડ યાત્રા માર્ગમાં અનેક સ્થળો પર હેન્ડ સેનટાઈઝર રાખવાનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
જલ્દી શરૂ થઈ શકે છે યાત્રા
મંદિરની અંદર કોઈ પણ પૂજારી ભક્તોના માથા પર તિલક નહીં કરે. 3 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને યાત્રા માટે પરમિશન અપાશે નહીં. કોરોના સંદિગ્ધને સ્વાસ્થ્ય તપાસ કરાવવાની રહેશે. માહિતી એ પણ મળી રહી છે કે શ્રાઈન બોર્ડે પોતાના કર્મચારીઓને ફરીથી ખડેપગે હાજર કરી દીધા છે. આ પરથી લાગી રહ્યું છે કે યાત્રા જલ્દી જ શરૂ કરાશે.