અયોધ્યામાં રામ મંદિરનું કામ ધીરે-ધીરે શરૂ થઇ ગયું છે. આ વચ્ચે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી કરાવામાં આવી રહેલ સમતલ કાર્ય દરમિયાન ઐતિહાસિક અવશેષ મળી આવ્યાં છે. આ અવશેષોમાં કેટલીક પૌરાણિક ખંડિત મૂર્તિઓ અને શિવલિંગ, કળશ અને કોતરણી કરેલા સ્તંભોના અવશેષો મળી આવ્યાં છે. રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી જમીનને સમતલ કરવા અને બેરીકેડિંગ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.
રામજન્મભૂમિ પરિસરમાં રામ મંદિર નિર્માણને લઇને તૈયારીઓ તેમજ ભૂમિ સમતલ કરવાનું તેમજ લોખંડની બેરિકેડિંગ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે.
કોરોના સંકટને ધ્યાનમાં લઇને આ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કામકાજ દરમિયાન અવશેષો મળવાનું શરૂ થઇ ગયું છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે અત્યાર સુધીમાં જ્યા-જ્યાં ખોદકામ થયું છે, ત્યાંથી આસપાસની જગ્યાઓમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ વગેરે વસ્તુઓ મળી આવી છે.
જો કે ટ્રસ્ટ દ્વારા અવશેષો મળવા અંગેની જાણકારી વિસ્તારથી આપવામાં આવી છે. પરંતુ અવશેષ અંગે કાંઇ વિસ્તારથી બતાવામાં આવ્યું નથી. જો કે મળતી માહિતી મુજબ વિશેષજ્ઞોના નિરીક્ષણ બાદ જ આ અંગે વિસ્તારથી જણાવામાં આવી શકાશે.