ભાવનગર જિલ્લામાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. શિહોર તાલુકાના નવા ગામમાં એક પરિવારના 3 વ્યક્તિએ ઘરમાં સામુહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સામૂહિક આપઘાત પહેલા પિતાએ પુત્રી અને પુત્રને ફાંસો આપી પોતે પણ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.
શિહોર તાલુકાના નવા ગામમાં સામુહિક આપઘાત
4 વર્ષના પુત્ર, 5 વર્ષની પુત્રીને પિતાએ લગાવ્યો ફાંસો
બાળકોને ગળેફાંસો લગાવ્યા બાદ પિતાએ કર્યો આપઘાત
ભાવનગરના નવા ગામમાં પિતા, પુત્ર અને પુત્રીએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. 4 વર્ષના પુત્ર, 5 વર્ષની પુત્રીને પિતાએ ફાંસો લગાવ્યો હતો. બાળકોને ગળેફાંસો લગાવ્યા બાદ પિતાએ આપઘાત કર્યો છે. આ સામૂહિક આપઘાત પાછળનું કારણ ઘરકંકાસ જવાબદાર હોવાની ચર્ચા થઇ રહી છે.
સામૂહિક આપઘાતની ઘટનાને પગલે વરતેજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ઘરકંકાસના કારણે લાલભાઇ ચૌહાણ નામના વ્યક્તિએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. લાલભાઇના પત્ની ઘરકંકાસના કારણે રિસામણે ચાલ્યા ગયા હતા. જેના કારણે લાલભાઇએ આવેશમાં આવી પોતાના બે માસૂમ બાળકો સાથે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 10 સપ્ટેમ્બરે ભાવનગરના વિજયરાજનગરમાં રહેતા નિવૃત્ત DySPના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પોતાની ઘરે બે પુત્રીઓ, પત્ની અને કુતરાને પોતાની રિવોલ્વરથી ગોળી મારી પોતે પણ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી.