સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્વિક આતંકી’ (ગ્લોબલ ટેરરિસ્ટ) જાહેર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્વિક આતંકી’ (ગ્લોબલ ટેરરિસ્ટ) જાહેર કર્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને તેમણે આતંકના આ આકાને કોઈ સુરક્ષિત સ્થળે છુપાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મસૂદ અઝહરને બહાવલપુરમાં તેના ઘરથી ઈસ્લામાબાદ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનને ડર છે કે, ‘વૈશ્વિક આતંકી’ જાહેર થયા બાદ હવે અઝહરને જાનનો ખતરો છે.
સુરક્ષા એજન્સીઓના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએનના ફેંસલા બાદ તુરંત જ પાકિસ્તાનની સેનાએ મસૂદ અઝહરનો કબજો લઈ લીધો છે અને તેની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આતંકી અઝહરને દુનિયાની નજરથી બચાવવા માટે ઈસ્લામાબાદના કોઈ ‘સેફ હાઉસ’માં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરતાં ભારતની મોટી કુટનૈતિક જીત થઈ છે અને પાકિસ્તાન બેકફૂટ પર ધકેલાઈ ગયું છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાન વારંવાર મસૂદ અઝહરનો બચાવ કરતું આવ્યું છે, પણ હવે તેની ઉપર લાદવામાં આવેલા કડક નિયંત્રણોના કારણે પાકિસ્તાને
પણ આતંકી સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે.
ભારતે આ પહેલા વર્ષ ૨૦૦૯માં પણ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રયાસો કર્યા હતા, પણ ચીનની અવળચંડાઈના કારણે સફળતા મળી ન હતી. આખરે ૧૦ વર્ષ બાદ ભારતને મોટી સફળતા મળી છે. જોકે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુએનએસસી (સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ)એ તેની વેબસાઈટ પર મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો તેમાં ક્યાંય પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી.
૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા અને તેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જોકે આ એક ઘટનાના આધારે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાયો નથી. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના સતત વધતા જતા દબાણ સામે આખરે ચીન ઝૂક્યું હતું અને તેણે પોતાનો વીટો પાવર પાછો ખેંચ્યો હતો. જેનાથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી તેના પર કડક પ્રતિબંધો લાદવામાં મોટી સફળતા મળી હતી.
દરમિયાન અમેરિકાએ જણાવ્યું છે કે, આતંકી મસૂદ અઝહર સામે યુએનની કાર્યવાહી પાકિસ્તાનમાં આતંકવાદને જડમૂળથી ખતમ કરવાની અને દક્ષિણ એશિયામાં સુરક્ષા, શાંતિ અને સ્થિરતા લાવવાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનો હિસ્સો છે. અમેરિકાએ એવી આશા પણ વ્યક્ત કરી છે કે, પાકિસ્તાન હવે તેની જમીન પરથી ચાલી રહેલા આતંકી જૂથો સામે કડક કાર્યવાહી કરશે.